રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પાંચ સ્થળે ચોરી કરનાર રીઢા તસ્કરને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઇ રૂૂ.5.55 લાખના દાગીના કબજે કર્યા છે. શહેરના કુભારવાડામાં રહેતા પ્રજાપતિ પરિવારના ઘરે ચાર વર્ષ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. તેમજ તપાસમાં સુરેન્દ્રનગરમાં થયેલ અન્ય ચાર ચોરીનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે.
મળતી વિગતો મુજબ કુંભારવાડામાં રહેતા પટેલનગર 06 મા શક્તિ મશીન સ્ટોર મા કામ કરતા મગનભાઈ નરશીભાઈ ખોખરના ઘરે ગત તા 23/04/2022 ના રોજ ચોરી થઇ હતી. મગનભાઇ બપોરના કારખાનેથી ઘરે જમવા માટે આવેલ અને જમીને ઘરે તાળું મારીને કારખાને કામ માટે ગયેલ ત્રણેક વાગ્યાની આસ પાસ કાકાનો દીકરો ભાઈ રાજેશભાઈ ધીરુભાઇ ખોખર તેમને કારખાને તેડવા માટે આવેલ અને ચોરીની જાણ કરી હતી. દાગીના અને રોકડ સહીત કુલ રૂૂ. 2,80,000 ના માલમતાની ચોરી થઇ હતી.
ચાર વર્ષ પૂર્વેની ચોરીનો આરોપી કેસરી હિંદ પુલ પાસે, કપિલા હનુમાન મંદિર નજીક હોવાની ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. આર.કે.ગોહિલની ટીમના એ.એસ.આઇ વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ તુલશીભાઇ ચુડાસમા, મુકેશભાઇ સબાડ અને સંજયભાઇ ખાખરીયાને ખાનગી બાતમી મળતા તેના આધારે સુરેન્દ્રનગરના વતની જયંતી ધીરૂૂભાઇ સરવૈયા (ઉ.વ. 27) ને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે વતની જયંતી ધીરૂૂભાઇ સરવૈયા પાસેથી કુલ રૂૂ. 5,55,200 ની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે:
પુછપરછમાં આરોપી જયંતી અગાઉ રાજકોટ, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથમાં ચોરીના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. વધુમાં, તેણે બોટાદ અને ભાવનગરના ગુનાઓમાં નાસતા ફરતા હોવાનું પણ સામે આવ્યું છે.
આરોપીની પૂછપરછ દરમિયાન તેણે સુરેન્દ્રનગરના ખોડિયારપરા અને કડિયા સોસાયટી તેમજ મોઢેરા અને ધ્રાંગધ્રા વિસ્તારમાં કરેલી અન્ય ચાર ચોરીઓની પણ કબૂલાત કરી છે. આરોપીની મોડસ ઓપરેન્ડી દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનોના તાળા તોડી ચોરી કરવાની હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બી.બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ આર.કે.ગોહિલ એ.એસ.આઈ. અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. સુભાષભાઇ ધોધારી, મુકેશભાઈ સબાડ, તુલશીભાઇ ચુડાસમા તથા પોલીસ કોન્સ. સંજયભાઇ ખાખરીયા દ્વારા કામગીરી કરી હતી.

