મુળ ભચાઉનો વતની અને હાલ રાજકોટમાં રહેતો યુવાન આઠ દિવસ પૂર્વે ભચાઉમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગયો હતો ત્યારે પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાએ બે શખ્સોએ અપહરણ કરી લીમડા સાથે બાંધી બેરહેમીથી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દૌર લંબાવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ ભચાઉનો વતની અને હાલ રાજકોટમાં રહેતો સાગર બચુભાઈ હુડીયા નામનો 23 વર્ષનો યુવાન ગત તા.9ના રોજ ભચાઉમાં આવેલ મદીનાનગર ટેલીફોન એકસચેન્જ પાસે હતો ત્યારે ભાવેશ ચતુર અને અજય ચતુર નામના બન્ને શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને બેભાન હાલતમાં તાત્કાલીકસારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભચારૂ પોલીસને જાણ કરતાં ભચાઉ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ચાર ભાઈમાં વચેટ હતો અને અપરિણીત હતો. ઘટનાના દિવસે મૃતક યુવાન આયુષમાન કાર્ડ કઢાવવા તથા આધારકાર્ડ અને પાન પાર્ક લીંક કરાવવા માટે ભચાઉ ગયો હતો ત્યારે હુમલાખોર બન્ને શખ્સોએ પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાએ અપહરણ કરી લીમડા સાથે બાંધી માર મારતાં મોત નિપજ્યું હોવાનું જાણા મળ્યું છે. આ અંગે પોલીસે મોડી ફરિયાદ લીધી હોવાનું અને અપહરણની કલમનો ઉમેરો ન કર્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે બનાવ હત્યામાં પલટાતા ઝડપાયેલા બન્ને આરોપી વિરૂધ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.

