આયુષ મ્હાત્રેની 73 અને શિવમ દુબેની 45 રનની ઇનિંગ એળે ગઇ, ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઇની બીજી હાર
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સીએસકેએ પ્રથમ બેટિંગ કરીને 209 રન બનાવ્યા હતા. જવાબમાં, પંજાબે 19મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને સતત બીજી જીત નોંધાવી હતી. પંજાબ માટે કેપ્ટન શ્રેયસ ઐયરે 50 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી.
ટોસ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. આયુષ મ્હાત્રેએ 73 રન બનાવ્યા, જ્યારે સરફરાઝ ખાને 32 રનની તોફાની ઈનિંગ રમી. શિવમ દુબે 45 રન બનાવ્યા પછી અણનમ રહ્યો. તેમના પ્રયાસોને કારણે, ચેન્નાઈ ટીમ 209 રન બનાવી શકી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે પંજાબ કિંગ્સને ઝડપી અને પ્રભાવશાળી શરૂૂઆત અપાવી. સાથે મળીને તેઓએ માત્ર 4.2 ઓવરમાં 61 રન બનાવ્યા. પ્રિયાંશે 11 બોલમાં 39 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જ્યારે પ્રભસિમરન સતત બેટિંગ કરી રહ્યો હતો અને 43 રન બનાવી રમી રહ્યો હતો, પરંતુ કમનસીબે રન આઉટ થયો હતો.આ દરમિયાન, કૂપર કોનોલી મેદાનમાં આવ્યો અને 22 બોલમાં 36 રન બનાવીને સ્કોરબોર્ડને ઝડપથી ગતિમાન રાખ્યું.
પરંતુ કેપ્ટન શ્રેયસ ઐયરે સૌથી મોટો ફરક પાડ્યો. પંજાબને અંતિમ 10 ઓવરમાં જીતવા માટે 107 રનની જરૂૂર હતી, પરંતુ અહીંથી, કેપ્ટન શ્રેયસ ઐયરે જોરદાર ઈનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, 29 બોલમાં 50 રન બનાવ્યા. એમએસ ધોની ઈજાને કારણે રાજસ્થાન બાદ પંજાબ સામેની મેચમાં રમ્યો ન હતો. ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સનો આ સતત બીજો પરાજય છે. અગાઉ, રાજસ્થાન રોયલ્સે સીએસકેને 8 વિકેટથી હાર્યું હતું. પંજાબે ચેન્નાઈને 5 વિકેટથી હરાવ્યું હતું અને ચેન્નાઈ હાલમાં પોઈન્ટ ટેબલમાં એકદમ નીચે છે.
અમ્પાયરે આયુષ મ્હાત્રેનું બેટ ત્રણ વખત તપાસ્યું
ચેપોક ખાતે પંજાબ કિંગ્સ સામે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ શાનદાર ઇનિંગ રમી. તેણે 73 રન બનાવ્યા, મ્હાત્રેની શાનદાર ઇનિંગ પહેલા જોરદાર હોબાળો થયો હતો અને તેમાં અમ્પાયરની જ પૂરી ભૂલ હતી. જ્યારે આયુષ બેટિંગ કરવા માટે બહાર આવ્યો, ત્યારે અમ્પાયરે તેનું બેટ તપાસવાનું શરૂૂ કર્યું, જેના કારણે એક વિચિત્ર ડ્રામા જોવા મળ્યો હતો.
અમ્પાયરની ભૂલને કારણે મ્હાત્રેનું બેટ ત્રણ વખત ટેસ્ટમાં નિષ્ફળ ગયું. ત્યારબાદ અમ્પાયરને તેની ભૂલનો અહેસાસ થયો અને રાઈટ હેન્ડેડ બેટ્સમેનનું બેટ ટેસ્ટમાં પાસ થયું. તેણે પંજાબ સામેની મેચમાં 169ની સ્ટ્રાઇક રેટથી સ્કોર કરીને તબાહી મચાવી. યુવા ખેલાડીએ તેની આઈપીએલ કારકિર્દીની બીજી ફિફ્ટી ફટકારી, પરંતુ અમ્પાયરની ભૂલ ચર્ચાનો વિષય બની રહી છે. એ નોંધનીય છે કે જ્યારે અમ્પાયરને બેટ્સમેનના બેટનું પરીક્ષણ કરવાની જરૂૂર હોય છે, ત્યારે તેઓ ગેજનો ઉપયોગ કરે છે. બેટ તેમાંથી પસાર થવું જોઈએ, જે નક્કી કરે છે કે બેટ જરૂૂરી કદમાં છે કે નહીં. તેથી, અમ્પાયરે મ્હાત્રેના બેટનું પરીક્ષણ કર્યું. તેનું પહેલું બેટ પરીક્ષણમાં નિષ્ફળ ગયું. 18 વર્ષના આ ખેલાડીનું બીજું અને ત્રીજું બેટ પણ પરીક્ષણમાં નિષ્ફળ ગયું. આયુષના ત્રણ બેટ નિષ્ફળ ગયા પછી અમ્પાયરને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે યુવાન બેટ્સમેનના બેટનું ગેજ ઊંધું રાખીને પરીક્ષણ કરી રહ્યો હતો. જ્યારે તેણે ગેજ ગોઠવ્યો અને પરીક્ષણ કર્યું, ત્યારે મ્હાત્રેનું પહેલું બેટ પાસ થયું. બેટ્સમેન પોતે ખૂબ જ અસ્વસ્થ દેખાતો હતો, સતત ત્રણ વખત નિષ્ફળ ગયો હતો. જોકે, જ્યારે તેનું બેટ પાસ થયું ત્યારે મેદાન પર બધા હસી પડ્યા હતા.

