Site icon Gujarat Mirror

વડોદરામાં ચોમાસા પહેલા પુરના ભયે તરાપાનું પૂજન કરતા લોકો

વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા. જેનો ભય આજે પણ લોકોના મનમાંથી જતો નથી. હવે શહેરમાં ચોમાસું બેસવાને જુજ દિવસો બાકી છે, ત્યારે સામાજીક કાર્યકરે તરાપાનું ફૂલો વડે પૂજન કર્યું છે. પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ પણ લોકોના મનમાંથી પૂરના પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. સયાજીગંજ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં સામાજીક કાર્યકર દ્વારા પૂજન હાથ ધરાયું છે.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂૂઆત કરવામાં આવી છે. પરંતુ પ્રોજેક્ટને લઇને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે પરશુરામ ભઠ્ઠામાં સામાજીક કાર્યકર દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું હતુ. આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશયથી આ કાર્ય કરવામાં આવ્યું હોવાનું તેમણે મીડિયાને જણાવ્યું હતું.

સામાજીક કાર્યકર વિઠ્ઠલ આયરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગયા વર્ષે પૂરની દુખદ ઘટના ઘટી હતી. તાજેતરમાં અકોટાના ધારાસભ્યએ કહ્યું હતું કે, પૂર તો આવવાનું જ છે. જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છીએ. જેથી કરીને વિસ્તારના લોકોને કોઇ તકલીફ ના પડે, અને તેમને મદદ મળી રહે. પાણી ભરાય ત્યારે તરાપાની મદદ મળી રહે તે અમારો ઉદ્દેશ્ય છે.

Exit mobile version