Site icon Gujarat Mirror

દસાડામાં કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી: 25 મજૂરોની તબીયત લથડી

દસાડા તાલુકાના નાવિયાણી ગામે આવેલી ભારત સીટ કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી હતી. જેથી હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ 25 જેટલા મજૂરોની તબિયત લથડી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ચારથી પાંચ દિવસ પહેલા બની હતી જોકે, તેના ફોટા અને વીડિયો હાલ વાયરલ થયા છે.

આ ઘટનાને પગલે કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. કંપનીની કેન્ટીનમાં આપવામાં આવેલા ભોજનમાં ગરોળી જોવા મળતાં કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ભોજન લીધેલા 25 જેટલા મજૂરોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હાલ તમામ મજૂરોની તબિયત સુધારા પર છે. ભોગ બનનારા મજૂરો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને ન્યાય આપવાની માંગ કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, કેન્ટીન સંચાલન અંગે પૂછપરછ કરતાં પ્લાન્ટ મેનેજર દ્વારા સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો આરોપ છે, જેના કારણે મજૂરોમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો.

કર્મચારીઓ અને સ્થાનિક લોકો દ્વારા કેન્ટીનનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાની અને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.આ કંપનીમાં કુલ 25 કર્મચારીઓ અને 200 જેટલા યુપી બિહારના મજૂરો કામ કરે છે. જેમાં કેન્ટીનના ભોજનમાં ગરોળી નીકળતા 25 જેટલા મજૂરોને ઊલટીઓ થતાં તાત્કાલિક બેચરાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હાલ તમામની તબિયત સુધારા પર છે.આ અંગે સુરેન્દ્રનગર ફૂડ અને ડ્રગ્સ વિભાગના પિયુષ સાવલિયાનો સંપર્ક કરાતા એમણે જણાવ્યું કે, આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જયારે આ અંગે કંપનીના મેનેજર બી.કે.ઝાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું તેઓનો સંપર્ક થઇ શક્યો નહોતો.

Exit mobile version