Site icon Gujarat Mirror

વઢવાણ-લખતર રોડ પર ગેરકાયદેસર અનાજની હેરફેરનો પર્દાફાશ, 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત

પુરવઠા વિભાગે ઝમર ગામ નજીક પિકઅપ વાહન રોકી તપાસ કરતા ભાંડો ફૂટ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂૂપ ગત રોજ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ કામગીરીની વિસ્તૃત જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જણાવ્યું કે, ગઈકાલે પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગમાં હતી. આ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે પસાર થઈ રહેલી એક લેલન પીકઅપ શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું હતું.

પુરવઠા વિભાગની ટીમ દ્વારા વાહનચાલકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે આ અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાડીમાં કુલ 46 કટ્ટા ચોખા એટલે કે અંદાજે 2311.550 કિલોગ્રામ જેટલો જથ્થો કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો.

આ સરકારી કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા અંદાજે રૂૂ. 62,411/-ની કિંમતના ચોખા અને અંદાજે રૂૂ. 4,00,000/-ની કિંમતનું વાહન મળી કુલ રૂૂ. 4,62,411/- નો મુદ્દામાલ ’આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ સીઝ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી. આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી છે.

Exit mobile version