ગુજરાત

‘અગ્નિકાંડ સમયે હું હાજર ન હતો’ જેલ મુક્ત કરવા પૂર્વ TPO સાગઠિયાની કાકલૂદી

Published

on

સાગઠીયાની જામીન અરજી પર બન્ને પક્ષની દલીલો પૂર્ણ: ગમે તે ઘડીએ ચુકાદો

રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જાગવાનારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર થયા બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયા જેલ મુક્ત થવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી આજે સુનાવણી ઉપર આવતા બંને પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટ ગમે તે ઘડીએ કોર્ટ પૂર્વ ટીપીઓ સાગઠિયાની જામીન અરજી ઉપર ચુકાદો સંભળાવશે.
આ કેસની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું.

આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયો હતો.
અગ્નિ કાંડ કેસમાં જેલ હવાલે રહેલા જમીન મલિક અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી અદાલતે રદ કર્યા બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયા રેગ્યુલર અરજી કરી છે.

જે બંને જામીન અરજી આજે સુનાવણી હતી. પરંતુ ન્યાયાધીશ રજા ઉપર હોવાથી ટીપીઓ સાગઠિયાની જામીન અરજીમાં તા.14 ઓક્ટોમ્બરની મુદત પડી હતી. જે જામીન અરજી આજે અદાલતમાં સુનાવણી પર આવતા આરોપી પૂર્વ ટીપીઓ સાગઠીયાના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ટીપીઓ સાગઠીયા નિર્દોષ છે તેની સીધી કે આડકતરી રીતે કોઈ સંડોવણી કે મદદગારી હતી નહીં કે છે નહીં મનસુખ સાગઠીયાનું કોઈ યોગદાન હતું નહીં કે છે નહીં આરોપી સીધી રીતે બનાવની તારીખે બનાવના સ્થળે કામગીરી કરેલ નથી કે અરજદાર જમીન માલિક નથી વગેરે પ્રકારના કારણો આગળ ધરી જામીનમુક્ત કરવા રજૂઆત કરવામાં આવી હતી.

જેની સામે સરકાર પક્ષી સ્પે. પીપી અને હતભાગી પરિવારો વતી રોકાયેલા વકીલ દ્વારા સાગઠીયાની જામીન અરજી સામે વાંધાઓ રજૂ કરી દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલોને આધારે કોર્ટ પૂર્વ ટીપીઓ સાગઠીયાની જામીન અરજી ઉપર ગમે તે ઘડીએ ચુકાદો સંભળાવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version