Site icon Gujarat Mirror

વિયેતનામમાં ભારે વરસાદથી પૂરમાં 52000 મકાનો ગરક: 41નાં મોત, હજારોનું સ્થળાંતર

વિયેતનામમાં લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. દેશના મધ્ય ભાગમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓએ કહેર મચાવ્યો છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો હજુ પણ લાપતા છે. લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં આ વિસ્તારના ઘણા ભાગોમાં 150 સેન્ટિમીટરથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે સર્વત્ર પજળપ્રલયથ જેવી સ્થિતિ સર્જાઈ છે. 52,000 થી વધુ ઘરો પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે. 62,000 થી વધુ લોકોને પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેનાથી બચાવ કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે.

લગભગ 10 લાખ ઘરોમાં વીજળી ગુલ છે, જેના કારણે લોકોનો સંપર્ક કરવો પણ મુશ્કેલ બન્યો છે. સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. પાણીમાં ડૂબી ગયેલા ઘરોની છત પર ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હજુ પણ હજારો લોકો મદદની રાહ જોઈ રહ્યા છે.

જે વિસ્તારમાં પૂર આવ્યું છે, તે મુખ્યત્વે વિયેતનામનો કોફી ઉત્પાદક ઝોન માનવામાં આવે છે. આ ઉપરાંત, આ વિસ્તાર તેના દરિયાકિનારા અને પ્રવાસન માટે પણ જાણીતો છે. આ કુદરતી આફતને કારણે દેશના કોફી ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને ભારે નુકસાન થવાની આશંકા છે. વિયેતનામના પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું છે કે 6 પ્રાંતોમાં મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે અને લાપતા લોકોની શોધખોળ ચાલુ છે.

Exit mobile version