Site icon Gujarat Mirror

જામનગરમાં 20 પેઢીઓ ઉપર જીએસટી વિભાગ ત્રાટક્યું, 80 કરોડની ચોરી ઝડપાઇ

20 ટીમ દ્વારા ધંધા-નિવાસ સહિત 22 સ્થળોએ કાર્યવાહી

સ્ટેટ GST વિભાગ દ્વારા જામનગરમાં જુદી જુદી 20 જેટલી પેઢીઓના ધંધાના અને નિવાસસ્થાન મળીને 22થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. સવારથી હાથ ધરાયેલા આ દરોડાના પગલે વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. આ દરોડામાં 80 કરોડથી વધુની કરચોરી પકડાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, એટલું જ નહીં પરંતુ આ દરોડામાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની પણ સંક્રિય ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે.

સ્ટેટ GST વિભાગને મળેલી માહિતીના આધારે વિભાગ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચ બાદ પ્રાપ્ત થયેલી વિગતોને ધ્યાનમાં લઈને આજે સવારે અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગરના સ્ટેટ GST વિભાગના અધિકારીઓએ જુદા જુદા ધંધાઓ સાથે સંકળાયેલી જામનગરની 20 જેટલી પેઢીઓ પર સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન જામનગરના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની સક્રિય ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ પેઢીઓ દ્વારા 80 કરોડથી વધુની રકમની કરચોરી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ દરોડામાં કબજે કરાયેલા દસ્તાવેજોની ચકાસણી દરમિયાન આ કરચોરીનો આંકડો વધવાની શક્યતા રહેલી છે.

સ્ટેટ GST વિભાગ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં અલગ અલગ બિઝનેસના વેપારીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ક્લાઈન્ટ છે અને CA દ્વારા કૌભાંડ કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જેને લઇને કઈ રીતે સમગ્ર કૌભાંડને આખરી ઓપ આપવામાં આવતો હતો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બિલિંગ મારફતે આ કૌભાંડ કરવામાં આવતું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું છે.

Exit mobile version