Site icon Gujarat Mirror

સ્કૂલોમાં ધુળેટીની રજા 15ને બદલે 14 માર્ચના

રાજ્યની શાળાઓમાં ધુળેટીના તહેવારની રજાને લઈને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેકમિક કેલેન્ડરમાં ધુળેટીની રજા 15 માર્ચના રોજ આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓની યાદીમાં ધુળેટીની રજા 14 માર્ચના રોજ નક્કી કરવામાં આવતા બોર્ડ દ્વારા રજાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યની સ્કૂલોમાં ધુળેટીના તહેવારને લઈને 15 માર્ચના બદલે 14 માર્ચના રોજ રજા રહેશે.


પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દરવર્ષે શૈક્ષણિક સત્રની શરૂૂઆતમાં જ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે. જેમાં વર્ષ દરમિયાન કયા માસમાં કેટલા દિવસનો અભ્યાસ રહેશે, ક્યારે પરીક્ષા શરૂૂ થશે અને કયા દિવસોમાં રજા રહેશે તે અંગેની તમામ માહિતી દર્શાવેલી હોય છે. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે પણ શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કુલ 80 રજાઓમાં 18 જાહેર રજાઓ આપવામાં આવી હતી.


જાહેર રજાઓમાં 15 માર્ચ, 2025 શનિવારના રોજ રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધુળેટીના તહેવારની રજા શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમિક કેલેન્ડરમાં જાહેર કરવામાં આવી હતી. જોકે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેર રજાઓની યાદીમાં ધુળેટીની રજા 14 માર્ચ, 2025ના રોજ દર્શાવવામાં આવી હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા ધુળેટીની રજાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને હવે 15 માર્ચના બદલે 14 માર્ચ, 2025 શુક્રવારના રોજ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધુળેટીની રજા રહેશે.

Exit mobile version