ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાને લઈને કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ હુમલાના આરોપ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર લાગી રહ્યા છે, જેના કારણે વિવાદ વધુ વકર્યો છે. આ મામલે કોળી સમાજના લોકો ન્યાયની માગ કરી રહ્યા છે અને તેના ભાગરૂૂપે સુરતથી મોટો કાફલો બગદાણા તરફ રવાના થયો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત, ઓલપાડ અને કિમ વિસ્તારમાંથી કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ કાફલામાં 200 થી વધુ વાહનો સામેલ છે, જેમાં યુવાનો, આગેવાનો અને સમાજના સભ્યો જોડાયા છે. આ કાફલો મહુવા અને બગદાણા પહોંચીને નવનીતભાઈને સાંત્વના આપવાનો છે અને તપાસને વેગ આપવા તથા ન્યાયની માગ કરવાનો છે.
આ હુમલાની ઘટના 29 ડિસેમ્બરની આસપાસ બની હતી, જેમાં નવનીતભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ મામલે પોલીસે જઈંઝ બનાવી છે અને તપાસ ચાલુ છે. કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને મળીને ન્યાયની માગ કરી છે, અને હવે આ કાફલા દ્વારા સમાજનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે. વિવાદમાં રાજકીય રંગ પણ આવ્યો છે.
સુરતથી રવાના થયેલા આ કાફલાથી કોળી સમાજની એકતા દેખાઈ રહી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે નવનીતભાઈ પર હુમલો માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમાજ પરનો હુમલો છે. તેઓ ઝડપી તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આ ઘટનાથી રાજ્યમાં સામાજિક તણાવ વધ્યો છે, અને પોલીસે સુરક્ષા વધારી છે.
આ વિવાદે ગુજરાતના રાજકીય વાતાવરણને પણ અસર કરી છે. કોળી સમાજના ધારાસભ્યો અને નેતાઓ આ મામલે સક્રિય છે, અને તેઓએ સરકાર પર દબાણ વધાર્યું છે. આ કાફલો બગદાણા પહોંચીને શાંતિપૂર્ણ વિરોધ કરશે અને નવનીતભાઈને સમર્થન આપશે.
