ગુજરાત
રાજકોટમાં પ્રેમીયુગલનો સજોડે આપઘાત
ત્યકતા સાથે ઈન્સ્ટાગ્રામમાં પ્રેમ પાંગરતા લિવ ઈનમાં રહેતા યુગલે દસ દિવસ પહેલા જ ભાડે રાખેલા મકાનમાં પ્રેમિકાને લટકતી જોઈ યુવાન પણ લટકી ગયો
રાજકોટમાં દોઢ વર્ષ પૂર્વે ઈન્સ્ટાગ્રામ મારફતે ત્યકતા અને યુવક વચ્ચે પ્રેમ પાંગરતા લીવ ઈનમાં રહેતા યુગલે 10 દિવસ પૂર્વે જ રેલનગરમાં આવેલ શ્રીજી રેસીડેન્સીમાં મકાન ભાડે રાખ્યું હતું. પ્રેમી બહારથી ઘરે આવતાં પ્રેમિકાને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઈ પ્રેમીએ મિત્રને વોઈસ મેસેજ કરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રેમી પંખીડાના આપઘાતથી બન્ને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે અને પોલીસે પ્રેમી યુગલના આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલી શ્રીજી રેસીડેન્સીમાં ભાડાના મકાનમાં રહેતા અક્ષય શૈલેષભાઈ કલોલીયા (ઉ.29) અને તૃપ્તીબેન ભાવેશભાઈ ધ્રાંગધરીયા (ઉ.37)એ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં બન્નેના લટકતા મૃતદેહ મળી આવતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણકલ્પાંત સર્જાયો હતો. આ ઘટના અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે લટકતા બન્ને મૃતદેહને નીચે ઉતારી ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક અક્ષય કલોલીયા એકની એક બહેનનો એકનો એક નાનો ભાઈ હતો અને અપરિણીત હતો. જ્યારે મૃતક તૃપ્તીબેન ધ્રાંગધરીયાના 15 વર્ષ પૂર્વે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા બાદ છુટાછેડા થઈ ગયા હતાં અને બાદમાં ભાવેશ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં અને જ્યાં ભાવેશ થકી પુત્રનો જન્મ થયો હતો અને ભાવેશ સાથે છુટાછેડા થઈ ગયા બાદ તૃપ્તીબેન ધ્રાંગધરીયાનું છેલ્લા દોઢેક વર્ષથી અક્ષય કલોલીયા સાથે ઈન્સ્ટાગ્રામમાં પ્રેમ પાંગળ્યો હતો અને બન્ને પ્રેમી યુગલ લીવ ઈનશીપમાં રહેતા હતાં. 10 દિવસ પૂર્વે જ પ્રેમી યુગલે શ્રીજી રેસીડેન્સીમાં મકાન ભાડે રાખ્યું હતું અને ગઈકાલે ભાવેશ બહારથી ઘરે આવ્યો હતો ત્યારે તૃપ્તીબેન ધ્રાંગધરીયા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળતાં અક્ષય કલોલીયાએ તેના મિત્ર પરેશને વોઈસ મેસેજ કરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી પ્રેમી યુગલના આપઘાત અંગેનું કારણ જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.