આઇશર ટ્રક પાછળ ધુસી જતા બનેલો બનાવ: પરિવારમાં શોક
રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર વટામણ-તારાપુર પાસે રોડની સાઈડમાં એક હોટલ પાસે ઉભેલા બંધ ટ્રક પાછળ ગઈકાલે વહેલી સવારે એક આઈશર ઘૂસી ગયું હતું. જેમાં આઈશરની કેબીન ટ્રક પાછળ ભેગી થઈ જતાં આઇશરના ચાલક જામનગર તાલુકાના જગા મેડી ગામના યુવાનનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. જ્યારે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ધોરાજીથી સુરત જવા નીકળેલો ડુંગળી ભરેલો ટ્રક તારાપુર હાઈવે રોડ પર એક હોટલ પાસે ઊભો હતો, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલું આઇસર ટ્રક ની પાછળ ધડાકાભેર અથડાયું હતું, અને આઇસર ની કેબિન નો બુકડો બોલી ગયો હતો. જે અકસ્માતમાં આઈશરના ચાલક જામનગર તાલુકાના જગામેડી ગામમાં રહેતા વલ્લભભાઈ વાજા અને બાજુમાં બેઠેલા અરજણભાઈ શિવાભાઈ પટેલ (રહે. કૃષ્ણનગર, મોટી નાગજળ, કાલાવડ)ને ગંભીર ઇજા થઈ હતી અને બંને આઈશર ની કેબિનમાં ફસાયા હતા તેઓને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.
સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, અને આઈશર ચાલક વલ્લભભાઈ વાજાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત અરજણભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત ના બનાવ અંગે ડુંગળી ભરેલા ટ્રકના ચાલક ધોરાજી પંથકના ઈમ્તિયાઝ ખોખરની કરિયાદના આધારે પોલીસે અકસ્માત સર્જનાર અને મૃત્યુ પામનાર આઈશર ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

