કચ્છ

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર સળિયા ભરેલી ટ્રક પાછળ સ્કૂલવાન ઘૂસી જતા વિદ્યાર્થિનીનું મોત

Published

on

આઠ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત:સ્કૂલવેન ઓવરટેક કરવા જતા અથડાઈ, એકની હાલત ગંભીર

સ્કૂલવાનમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓ માટે વધુ એક ચિંતા ઉપજાવતો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.ભચાઉથી 7 કિમી દૂર ગાંધીધામ હાઈવે પર ચોપડવા બ્રિજ નજીક આજે સવારે સ્કૂલવાનમાં સવાર થઈ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ શાળાએ જઈ રહ્યાં હતાં. આ સમયે સ્કૂલવાનના ચાલકે ઓવરટેક કરતા જતા આગળ જઈ રહેલા સળિયા ભરેલા ટ્રકમાં અથડાઈ હતી. જેના કારણે વાન પલટી જતા સવાર 9 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. અકસ્માતના કારણે હાઈવે વિદ્યાર્થીઓની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો.


પ્રાથમિક વિગતો મુજબ ભચાઉના ચોપડવા ઓવરબ્રિજ પાસે સવારે ભચાઉ તરફ આવતી સ્કૂલવેન ટ્રેલરની હડફેટે ચડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં સ્કૂલવેનમાં સવાર કુલ 9 છાત્ર-છાત્રાઓ ઘવાયાં હતાં જેમને ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં શાંતિ રબારી નામની વિદ્યાર્થિની અને સાહિન ફકીર નામના વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે ગાંધીધામ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં શાંતિ રબારી નામની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.


અકસ્માત બાદ ઘટનાસ્થળેથી પસાર થતા ખાનગી કંપનીના વાહનચાલક એવા ભચાઉના રાજેશ બારોટ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અકસ્માત બાદ હાઈવે માર્ગ ઉપર વાહનો અને લોકોની ભીડ જમા થઈ ગઇ હતી. આ સમયે ઘાયલ બાળકોને મારી ઇનોવા કારમાં બેઠેલા કામદારોને નીચે ઉતારી બાળકોને પ્રથમ ભચાઉની સરકારી હોસ્પિટલ બાદ તાકીદની સારવાર માટે વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં બેથી ત્રણ બાળકોની હાલત નાજુક જણાતી હતી. સ્કૂલવેનમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના 2 છાત્રો હતા, જ્યારે 7 ક્ધયા વિદ્યાલયની છાત્રાઓ હતી. દરમિયાન બનાવના પગલે ભચાઉ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયરિંગની કામગીરી કરી હતી.ભચાઉના ચોપડવા પાસે સર્જાયેલા અકસ્માત અંગે તપાસ કરતા પીએસઆઇ જિજ્ઞાબેન ત્રિવેદી સાથે વાત કરતા તેમણે અકસ્માતનું પ્રાથમિક તારણ આપતા કહ્યું હતું કે, સળિયા ભરીને આગળ જતાં ટ્રેલરમાં સ્કૂલવેન ઓવરટેક કરતા સમયે અથડાઈને પલટી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version