માસી-ભાણેજને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા
કચ્છના માંડવી નજીક રસ્તામાં અચાનક આંખલો આડો આવતાં છોટાહાથી સાથે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હાજીપીર ઉર્ષમાંથી પરત ફરતાં છોટાહાથીમાં સવાર 15 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જેમાં માસી-ભાણેજને ગંભીર ઈજા પહોંચતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં આવેલા વીસીપરા વિસ્તારમાં રહેતાં નઝમાબેન ઈબ્રાહીમભાઈ આગડીયા (ઉ.35) અને તેમની ભાણેજ અફરોઝાબેન ઈમ્તીપાગુભાઈ સલોત (ઉ.16) છોટા હાથીમાં બેસી માંડવી પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે રસ્તામાં અચાનક આખલો આડો ઉતરતા છોટા હાથી સાથે અથડાયો હતો.
જે અકસ્માતમાં ભાસી ભાણેજને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત નઝમાબેન અને તેમની ભાણેજ અફરોઝાબેન સહિત 15 જેટલા લોકો કચ્છમાં આવેલ હાજીપીરની દરગાહ એ ઉર્ષમાંથી પરત ફરતાં હતાં તે દરમિયાં માંડવી પાસે છોટા હાથી સાથે આખલો અથડાતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માંડવી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

