ભાવનગર જિલ્લાના સિહોરની એકતા સોસાયટી વિસ્તારમાં આત્મહત્યાનો બનાવ બનવા પામ્યો છે, જ્યાં માત્ર એક નાની બાબતમાં યુવકે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.એકતા સોસાયટીમાં સરકારી ગોડાઉન પાછળ રહેતા 20 વર્ષીય કિશનભાઇ રમેશભાઇ વાઘેલાને ઉમરાળા ગામે પોતાના બહેનના ઘરે જવું હતું. કિશનભાઇએ ઉમરાળા જવા માટે પિતા પાસે મોટર સાઇકલની માંગણી કરી હતી.
જોકે, કિશનભાઇ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાને કારણે તેમના પિતા રમેશભાઇએ ફોન પર વાતચીત દરમિયાન તેમને બાઇક લઇને ઉમરાળા જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પિતાએ કાયદાકીય સલામતી માટે પાડેલી આ ના કિશનભાઇને મનમાં લાગી આવી હતી. ક્ષણિક આવેશમાં આવી ગયેલા કિશનભાઇએ પોતાના જ રહેણાંકી મકાનમાં જાતે ગળાફાંસો ખાઇ લીધો હતો, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે સિહોર પોલીસે તપાસ હાથ ધરી છે.
