Site icon Gujarat Mirror

મોરબીમાં ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત

મોરબીમાં ખાનગી નોકરી કરતા 20 વર્ષીય યુવાને પોતાની રહેણાંક ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની વિગત મુજબ, મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના ડોળાસા ગામના વતની 20 વર્ષીય અંકિતભાઈ કાનાભાઈ મકવાણા મોરબીમાં ખાનગી નોકરી અર્થે રહેતા હતા. ગત 5 એપ્રિલના રોજ રાત્રિના સમયે અંકિતે પોતાની ઓરડીમાં છતના પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ફરીયાદ
મોરબીની જવાહર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ લાલજીભાઈ ચૌહાણે ટ્રક ટીએન 52 એબી 0220 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો ભત્રીજો મયુર જેસિંગભાઈ ચૌહાણ (ઉ.વ.26) વાળો ગત તા. 04 ના રોજ બપોરે સાયન્સ કોલેજ પાછળ આવેલ વિન્ટેજ કારખાનામાં કોઈ ટ્રક વાળાને કારખાનું બતાવવા ગયો હતો ત્યારે ટ્રક ટીએન 52 એબી 0220 ના ચાલકે કારખાનામાંથી ટ્રક બહાર કાઢવા સમયે પુરઝડપે ચલાવી મયુરને હડફેટે લીધો હતો અકસ્માતમાં યુવાનના છાતીનો ભાગ ફાડી નાખી તેમજ મોઢે, હાથે અને પગે ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version