ચેટીચાંદના દિવસે નીકળેલી રેલી બાદ યુવાનના ‘શિવ ગૃપ’ના મેમ્બરને સમાજની બહાર કાઢી મુકવા અને બદનામ કર્યાનો આક્ષેપ
રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને ડેકોરેશન તેમજ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા ધનરાજ વિનોદભાઈ ભાવનાણી નામના સિંધી યુવાને સામાજિક બદનામી અને માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. યુવાને પોતાના ઘરથી દૂર રેલનગર વિસ્તારમાં આવેલી વીર સાવરકર ટાઉનશીપ સામે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
યુવાને આ આત્મઘાતી પગલું ભરતા પહેલા રેકોર્ડ કરેલી ઓડિયો ક્લિપમાં પોતાની વેદના ઠાલવી છે. તેણે સ્પષ્ટપણે બીપિનભાઈ મોટવાણી, કુમારભાઈ વાસદેવાણી અને વોર્ડ-3ના કોર્પોરેટર કુસુમબેનના પતિ સુનીલભાઈ ટેકવાણી નામના ત્રણ શખ્સો પર ગંભીર આક્ષેપો કર્યા છે. ધનરાજે જણાવ્યું હતું કે આ લોકો તેને અને તેના ’શિવ ગ્રુપ’ ને સતત બદનામ કરી રહ્યા છે.
સમાજમાં એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે શિવ ગ્રુપની કોઈ આબરૂૂ નથી અને આ ગ્રુપના સભ્યોને સમાજની બહાર કાઢી મૂકવા જોઈએ.પીડિત યુવાને ઓડિયોમાં વધુમાં ઉમેર્યું હતું કે તે અને તેનું ગ્રુપ હંમેશા ધાર્મિક, સામાજિક અને સારા કાર્યોમાં જોડાયેલા રહે છે અને ક્યારેય કોઈની પાસેથી ખોટો ફાળો પણ ઉઘરાવતા નથી. આમ છતાં, ઉપરોક્ત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી સતત બદનામી તેનાથી સહન થઈ રહી નથી.
તેના માટે પોતાના ગ્રુપની અને પોતાની ઈજ્જત સૌથી વધુ વહાલી છે અને આ પ્રતિષ્ઠા પર લાગેલા લાંછનને કારણે તે અત્યંત વ્યથિત હતો. તેમજ ધનરાજે આક્ષેપો સાથે વધુમાં ઉમેર્યું હતું કે,ચેટીચાંદના દિવસે અનિતાબેન દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી જેની સામે અમે પણ એક રહેલી કાઢવામાં આવી હતી જે ગ્રુપનું નામ શિવ ગ્રુપ હતું અમે રેલી કાઢી તે મામલે તેઓ રોસે ભરાયા હતા અને અમોને સમાજની બહાર કરવા તેમજ બદનામ કરવા કાવતરું ઘડ્યું હતું.આ ઘટનાને પગલે સિંધી સમાજમાં પણ રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે.હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ઓડિયો ક્લિપમાં લેવાયેલા નામોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

