Site icon Gujarat Mirror

માવતરે તને સંસ્કાર આપ્યા જ નથી, તારી લાયકાત મારા પુત્રની વહુ બનવાની નથી: પરિણીતાને ત્રાસ

કેનેડા રહેતા પતિ અને વડોદરા રહેતા સાસુ-સસરા સામે ફરિયાદ: પતિ કહેતો મારો ફોન અડધી રિંગે ઉપડી જવો જોઇએ!

રાજકોટમાં બિગ બજાર પાછળ ગુલાબ બિહાર સોસાયટી શેરી નંબર-1 માં છેલ્લા એક માસથી માવતરના ઘરે રહેતી રિધ્ધીબેન નામની પરિણીતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેનેડા રહેતા પતિ નીલ કિશોરભાઈ મિસ્ત્રી તથા વડોદરામાં રહેતા સસરા કિશોરભાઈ અને સાસુ રંજનબેનના નામ આપ્યા છે.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ગત તા.9/3/2023 ના વડોદરામાં રહેતા નીલ સાથે થયા હતા. લગ્નના બીજા દિવસથી જ પતિએ નાની નાની વાતો ઝઘડો કરવાનું શરૂૂ કરી દીધું હતું. સાસુ-સસરા કહેતા હતા કે, તારા માતા-પિતાને કહે અમને કેનેડામાં ઘર લઈ દે તેમજ કહેતા કે તારા બાપે દહેજમાં કંઈ આપ્યું નથી જેથી તેને કહે ગાડી લઈ દે. આમ દેહજ બાબતે પતિ તથા સાસુ-સસરા બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. પતિ કહેતો હતો કે, મારો ફોન અડધી રીંગે ઉપડી જવો જોઈએ અને ક્યારેક ફોન ઉપાડવામાં વાર લાગે તો પતિ માથાકૂટ કરતો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પતિ કેનેડા રહેતો હોય પરંતુ તેને લઈ જવા માંગતો ન હોય અને આ બાબતે અવારનવાર ઝઘડા કરતો હતો જેથી તે અવારનવાર માવતરના ઘરે જતી રહેતી હતી. છેલ્લા એકાદ માસથી તે અહીં રાજકોટમાં પિતાના ઘરે રહે છે પતિ તથા સાસુ-સસરા ત્રાસ આપતા હોય જે બાબતે લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.


સાસુ-સસરા કહેતા હતા કે તારા માવતરે તને સંસ્કાર જ નથી આપ્યા તારી લાયકાત મારા દીકરાની વહુ બને તેવી નથી તેમ કહી ગાળો આપતા હતા.પતિ કેનેડા લઈ જવા રાજી ન હોય અને પત્નીની વિઝા માટેની અપીલ પણ પતિએ પાછી ખેંચી લીધી હોય જેથી અંતે પરિણીતાએ પતિ તથા સાસુ સસરા સામે દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગે આ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Exit mobile version