Site icon Gujarat Mirror

ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે રાવલના યુવાનનું અપમૃત્યુ

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રામભાઈ સામતભાઈ પરમાર નામના યુવાન ગત તા. 29 મી ના રોજ તેમના જી.જે. 25 એન. 4841 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને રાવલથી ગાગવા ધાર જતા હતા. તે દરમિયાન અહીંના પોરબંદર હાઈવે માર્ગ પર ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર વિંઝલપર અને કેશોદ ગામના પાટીયા વચ્ચે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે રામભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાણાભાઈ સામતભાઈ પરમાર (ઉ.વ. 48, રહે. હનુમાન ધાર, રાવલ) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખાખરડાના પ્રૌઢએ ગળાફાંસો ખાધો
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા ગજુભા ભીમસિંહ જાડેજા નામના 57 વર્ષના દરબાર પ્રૌઢ છેલ્લા આશરે 30 વર્ષથી માનસિક રીતે બીમાર હોય અને તેમની માનસિક દવા પણ ચાલુ હોય, તે વચ્ચે ગત તા. 29 મી ના રોજ તેમણે પોતાના હાથે પોતાના ઘરે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ પ્રવીણસિંહ જાડેજા (રહે. ખાખરડા) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

 

 

Exit mobile version