ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી કે.પી.ટી. કોલોનીમાં આવેલા દિન દયાલ પોર્ટની સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરી અને હોસ્પિટલના જ ક્વાર્ટરમાં રહેતા પ્રકાશભાઈ મંગાભાઈ સંજોટ નામના 27 વર્ષના મહેશ્વરી યુવાન ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ પોતાના રૂૂમમાં સૂતા હતા. તે દરમિયાન મૂર્છિત અવસ્થામાં સ્ટાફના અન્ય કર્મચારીઓએ દરવાજો ખોલીને તેમને બહાર કાઢી, સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ વિશાલ દેવજીભાઈ સંજોટ (રહે. જામનગર) એ વાડીનાર મરીન પોલીસને પોલીસને કરી છે.
દ્વારકા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મૃત્યુ
દ્વારકાથી આશરે 8 કિલોમીટર દૂર નાગેશ્વર હાઈવે પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે અહીં જઈ રહેલા જેઠાભાઈ બેચરભાઈ હાથીયા (ઉ.વ. 40) ને પાછળથી ઠોકર મારતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેમના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતા બેચરભાઈ મુરાભાઈ હાથીયા (ઉ.વ. 65, રહે. કૃષ્ણનગર – આરંભડા) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકા પોલીસ મથકના અધિકારી ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવી છે.
કલ્યાણપુરમાં યુવાનને અપમાનિત કરતા બે શખ્સો સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા ગીરીશ લખુભાઈ વેગડા નામના અનુસૂચિત જાતિના યુવાન અન્ય એક સાહેદ સાથે નોટબુક લેવા જઈ રહ્યા હતા, ત્યારે એક દુકાનના ઓટલે બેઠેલા આરોપી કાના દેવશીભાઈ ભાટુ અને હેમત મારખીભાઈ આંબલીયા દ્વારા મોબાઈલની લાઈટ કેમ ચાલુ કરી છે?- તેમ કહી, ફરિયાદી ગિરીશને બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની તથા લાકડી વડે માર માર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. જેને અનુલક્ષીને આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.

