શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતો શ્રમિક યુવાન ચક્કર આવતાં પડી જવાથી તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેનું મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ શાપર વેરાવળમાં રોયલ ટેકસ નામના કારખાનામાં કામ કરતો ક્રિષ્ના દલવીરભાઈ પાંઉ (ઉ.30) નામનો યુવાન ગઈકાલે સાંજે કારખાનામાં કામ કરતો હતો ત્યારે અચાનક ચક્કર આવતાં પડી જતાં બેભાન થઈ ગયો હતો. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાંખસેડવામાં આવ્યો હતો.
પરંતુ અહિં તેનું ફરજ પરના તબીબે મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર વેરાવળ પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ક્રિષ્ના ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

