જામનગર જિલ્લાના ધ્રોલમાં એસટી ડેપોમાં ફરજ બજાવતા અને લતીપુરમાં રહેતા એસટી બસના ચાલક પોતાનું બાઈક લઈને ધ્રોળ એસ.ટી. બસ ડેપો એ ફરજ પર જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં તેમના બાઈકના આડે રોઝડું ઉતરતાં અકસ્માત નડ્યો હતો, અને ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે.આ બનાવની વિગત એવી છે, કે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા અને ધ્રોળ એસ.ટી. ડેપોમાં એસ.ટી. બસના ચાલક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ દેવાણંદભાઈ જીલરીયા (ઉ.વ.46),કે જેઓ ગત 4 ડિસેમ્બરના રાત્રિના સમયે પોતાના ગામથી બાઈક પર નીકળીને ધ્રોળના એસટી ડેપો પર ફરજ પર જઈ રહ્યા હતા.
જે દરમિયાન ધ્રોળ નજીક પિયાવા ગામના પાટીયા પાસે રસ્તામાં એક રોજડું આડું ઉતરતાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું, અને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હતી.તેઓને સારવાર માટે સૌ પ્રથમ જામનગર અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પ્રતકના વૃદ્ધ પિતા દેવાણંદભાઈ જીલરીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એસ. દલસાણીયાએ મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

