રાજકોટ શહેરમા નાનામવા રોડ લક્ષ્મીનગર પાસે ટેટુની દુકાન ધરાવતા યુવાનને શિશાંગના સરપંચે ધમકી આપતા તેમણે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહી ઉપ સરપંચે ફોન કરી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા તાલુકા પોલીસ મથકમા ઉપ સરપંચ વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ છે.વધુ વિગતો મુજબ કાલાવડ રોડ પર આંબેડકરનગર શેરી નં 1 મા રહેતા ચિરાગ જેન્તીભાઇ પરમાર નામના યુવાને પોતાની ફરીયાદમા કાલાવાડના શિશાંગ ગામના ઉપ સરપંચ બલભદ્રસિંહ રઘુભા જાડેજા વિરૂધ્ધ એટ્રોસીટી અને ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે. આ મામલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એલ. બી. ડીંડોરે ફરીયાદ લીધી હતી. ચિરાગે ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ લક્ષ્મીનગર પાસે ઝેડ ટેટુ નામની દુકાન ધરાવે છે. દોઢેક મહીના પહેલા કાલાવાડના શિશાંગ ગામે તેઓ માતાજીના મંદિરે તેમના ભાઇ નિતીન પરમાર સહીત પાંચેક વ્યકિત દર્શન કરવા ગયા હતા અને કાર ખરાબ થઇ જતા શિશાંગ ગામમા મુકીને તેઓ રાજકોટ પરત ફર્યા હતા.
બાદમા આ કાર લેવા માટે થોડા દિવસ બાદ ચિરાગ અને તેની સાથે પાંચ વ્યકિત કાર લેવા ગયા ત્યારે ઉપ સરપંચ બલભદ્રસિંહ જાડેજાએ કહયુ કે કોને પુછીને ગાડી લેવા આવ્યા છો ? બાદમા તેમણે માથાકુટ કરી હતી જેમા બલભદ્રસિંહને ઇજા થઇ હતી. ત્યારબાદ ગઇ તા 9 ફેબ્રુઆરીના રોજ સાંજના છએક વાગ્યે બલભદ્રસિંહ જાડેજાનો ચિરાગ પર કોલ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તમે મારી ખબર અંતર પુછવા કેમ ન આવ્યા. તમારે દુશ્મની રાખવી છે અને તમે લોકો કયાય જીવીને જવાના નથી તમને વીણી વીણીને મારી નાખવાના છીએ અને હું હવે આમ પણ એકલો જ છું કરી બતાવવાનુ છે તેમ કહી અપશબ્દો કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતા. જેને લઇ ડરી ગયેલા ચિરાગે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમણે હોસ્પિટલમા ખસેડાયો હતો. આ મામલે તાલુકા પોલીસે ફરીયાદ લઇ તપાસ શરૂ કરી છે.

