2023માં અનામત બીલ સર્વસંમતિથી પસાર કર્યુ હતું તે કેમ ભફાજપે લાગુ ન કર્યુ : હવે ભાજપે જ સિમાંકન સાથે જોડીને અટકાવ્યું છે : કોંગ્રેસ
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પર તીખા હુમલા કર્યા છે. લોકસભામાં મહિલા અનામત સાથે જોડાયેલા સંવિધાનિક (131મા સુધારા) બિલ, 2026ના નિષ્ફળ થયા બાદ પ્રિયંકા ગાંધીએ આને સરકાર માટે ‘કાળો દિવસ’ ગણાવ્યો અને કહ્યું કે મહિલાઓને ગુમરાહ કરવાના પ્રયાસો હવે કામ નહીં આવે. તેમણે સરકારને પડકાર આપતાં કહ્યું કે સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું.
લોકસભાના વિશેષ સત્રમાં બંધારણીય સુધારા બિલ પર વોટિંગ થઈ ત્યારે સરકારને જરૂૂરી બહુમતી મળી નહીં અને બિલ નિષ્ફળ ગયું. વિરોધ પક્ષે આને લોકશાહીની મોટી જીત તરીકે વર્ણવ્યું છે. પ્રિયંકા ગાંધીએ મીડિયા સમક્ષ કહ્યું કે મહિલાઓ મૂર્ખ નથી, તેઓ બધું જોઈ રહી છે. સરકારે સમજી લેવું જોઈએ કે તેના પીઆર અને મીડિયા હાઈપ હવે કામ નહીં આવે.પ્રિયંકા ગાંધીએ યાદ કરાવ્યું કે 2023માં તમામ પક્ષોના સમર્થનથી મહિલા અનામત બિલ પસાર થયું હતું. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે બધા પક્ષોએ સમર્થન આપ્યું હતું ત્યારે તેને વસ્તી ગણતરી અને પરિસીમન (Delimitation) સાથે જોડીને કેમ લટકાવી દેવામાં આવ્યું છે? તેમણે માગ કરી કે જો સરકારને કેટલાક નાના સુધારાની જરૂૂર હોય તો તે તાત્કાલિક કરીને બિલને અમલમાં મૂકે.
મહિલાઓને તેમના અધિકાર હમણાં જ આપો. તેને અન્ય વસ્તુઓ સાથે જોડીને ગુમરાહ કરવાની કોશિશ ન કરો. અમે તૈયાર છીએ, તેને હમણાં જ અમલમાં મૂકો, એમ પ્રિયંકા ગાંધીએ કહ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે મહિલા અનામતમાં ઓબીસી ક્વોટા હોવો જોઈએ જેથી પછાત વર્ગની મહિલાઓને વાસ્તવિક લાભ મળી શકે.

