Site icon Gujarat Mirror

ભગવાનની સાક્ષીએ લગ્ન બાદ ભરણપોષણ મળે કે નહીં? હાઇકોર્ટે ફેમિલી કોર્ટને કેસ પરત મોકલ્યો

રસપ્રદ કેસમાં બંન્ને પક્ષોને પોતાના પુરાવા રજૂ કરવાની તક આપી

જૂનાગઢની ફેમિલી કોર્ટમાં 2011માં એક પત્નીએ પોતાના પતિ સામે ભરણપોષણની અરજી દાખલ કરી હતી, જેને 2013માં કોર્ટે નકારી દીધી હતી. આ નિર્ણયને પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો, અને હાઈકોર્ટે ફેમિલી કોર્ટના હુકમને રદ કરી, કેસની ફરી સુનાવણી માટે જૂનાગઢ ફેમિલી કોર્ટને મોકલ્યો છે.

અરજી અનુસાર, 2011માં જૂનાગઢના ગાયત્રી મંદિરમાં ભગવાનની સાક્ષીએ પતિ-પત્નીના લગ્ન થયા હતા. પત્નીનું કહેવું છે કે તે આ લગ્નના આધારે ભરણપોષણનો હક્ક ધરાવે છે. પત્નીના પ્રથમ લગ્ન જામનગરમાં થયા હતા, જેમાંથી તેને સંતાન છે અને તેણે છૂટાછેડા લીધા હતા. બીજી તરફ, પતિની પ્રથમ પત્નીનું અવસાન થયું હોવાથી તે વિધુર હતો. બંનેના બીજા લગ્ન બાદ પત્ની અમરેલી ખાતે પતિના ઘરે રહેવા ગઈ, પરંતુ માત્ર બે દિવસમાં ઝઘડો થતાં પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી. આથી પત્નીએ જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો દાવો દાખલ કર્યો.

પત્નીએ કોર્ટમાં લગ્નના ફોટા રજૂ કર્યા, જેમાં ઘરઘરાઉ રીતે લગ્ન થયા હોવાનું દર્શાવાયું. ફોટામાં બંનેએ એકબીજાને હાર પહેરાવ્યા હતા અને પતિએ પત્નીના માથે સિંદૂર ભર્યું હતું. પત્નીનું કહેવું હતું કે આ બીજા લગ્ન હોવાથી સાદગીથી માત્ર હાર અને સિંદૂરની વિધિ કરવામાં આવી, અને સગાઈમાં સિંદૂર ભરવાની રીત તેમના લગ્નની સાબિતી આપે છે.

પતિનું કહેવું હતું કે આવા કોઈ લગ્ન થયા જ નથી, અને પત્નીએ સગાઈને લગ્ન તરીકે રજૂ કરી ખોટો દાવો કર્યો છે. ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે લગ્નમાં હિન્દુ રીત-રિવાજ મુજબ મંત્રોચ્ચાર, હવન, અગ્નિની સાક્ષીએ ફેરા, મંગળસૂત્ર કે ક્ધયાદાનની વિધિ થઈ નથી, આથી આને હિન્દુ લગ્ન ગણી શકાય નહીં.

ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી, જૂનાગઢ ફેમિલી કોર્ટનો હુકમ રદ કર્યો અને કેસની ફરી સુનાવણી માટે પરત મોકલ્યો. હાઈકોર્ટે બંને પક્ષોને પોતાના પુરાવા રજૂ કરવાની તક આપી અને ટ્રાયલ કોર્ટને શક્ય તેટલી ઝડપથી કેસનો નિકાલ કરવા નિર્દેશ આપ્યો. આ કેસ લગ્નની કાનૂની માન્યતા અને ભરણપોષણના હક્કના મુદ્દે મહત્વનો છે. બીજા લગ્નની સાદગી અને હિન્દુ રીત-રિવાજની વિધિઓની અર્થઘટન પર હાઈકોર્ટનો આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.

Exit mobile version