Site icon Gujarat Mirror

આક્ષેપોના મારા વચ્ચે અમદાવાદ કર્ણાવતી ક્લબમાં મતદાન શરૂ, બે પેનલો વચ્ચે જંગ

અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબમાં 10 ડિરેક્ટરના પદ માટેની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આજે, 19 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી, ક્લબના અંદાજિત 15,000 સભ્યો ઓનલાઈન ઈ-વોટિંગ દ્વારા પોતાના ડિરેક્ટરો પસંદ કરશે. આ ચૂંટણીમાં મુખ્યત્વે બે પેનલ, ક્લબ કેર ફેમિલી અને મેમ્બર પાવર પેનલ, વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. મતદાન શરૂૂ થાય તે પહેલાં, ક્લબ કેર ફેમિલીએ મેમ્બર પાવર પેનલ સામે ગંભીર આક્ષેપો કરતાં વાતાવરણ વધુ તંગ બન્યું છે.

ક્લબ કેર ફેમિલીના ઉમેદવાર વિરલ પટેલે દાવો કર્યો છે કે, કર્ણાવતી ક્લબને એક પેઢીની જેમ ચલાવવામાં આવી રહી છે. વર્ષોથી ક્લબનું હોસ્પિટાલિટી અને કેટરિંગનું કામ કોઈ ટેન્ડર પ્રક્રિયા વગર એક જ કંપનીને આપવામાં આવે છે. તેમણે એ પણ જણાવ્યું કે, 2015માં કેટરિંગ કંપની દ્વારા ભરાયેલા એક કરોડ રૂૂપિયાના સર્વિસ ટેક્સનું રિફંડ હજુ સુધી મળ્યું નથી, જે ક્લબના મેનેજમેન્ટની ગેરવ્યવસ્થા દર્શાવે છે.

ક્લબ કેર ફેમિલીના અન્ય ઉમેદવાર ડો. કૃષ્ણ મકવાણાએ જણાવ્યું કે, મેમ્બર પાવર પેનલના ટેકેદારોમાં ખુદ ચૂંટણીના સ્ક્રુટિની સભ્યોનો સમાવેશ થાય છે. તેમણે ભાજપના પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ અને આશિષ અમીનનું નામ લઈને આક્ષેપ કર્યો કે, આ બંને સત્તાવાર સ્ક્રુટિની સભ્યો હોવા છતાં એક ચોક્કસ પેનલને સપોર્ટ કરી રહ્યા છે.

ક્લબના સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંના એક, ગોલ્ડન ગ્લોરી હોલના ગેરકાયદેસર બાંધકામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્લબ કેર ફેમિલીએ આક્ષેપ કર્યો છે કે, આ હોલનું બાંધકામ ગેરકાયદેસર છે અને 2008માં અમદાવાદ કલેક્ટરે તેને કાયદેસર કરવા માટે ક્લબને ₹51 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

આ ચૂંટણીમાં મેમ્બર પાવર પેનલ તરફથી 10 ઉમેદવારો અને ક્લબ કેર ફેમિલી તરફથી 4 ઉમેદવારો મેદાનમાં છે. ત્રણ દિવસના ઈ-વોટિંગ બાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

Exit mobile version