Site icon Gujarat Mirror

ધો.10-12 પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓની 62 મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસણી શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 23 જૂનથી લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાઓ ગુરુવારના રોજ પૂર્ણ થઈ છે. પરીક્ષાઓ પૂર્ણ થતાં સાથે જ હવે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-10 અને 12ના મળી કુલ 62 જેટલા મૂલ્યાંકન કેન્દ્રો પરથી ઉત્તરવહીનું મૂલ્યાંકન શરૂૂ કરવામાં આવ્યું છે. 20 જુલાઈ આસપાસ પરિણામ જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા 23 જૂનથી શરૂૂ કરવામાં આવી હતી. પરીક્ષા શરૂૂ થયા બાદ સૌપ્રથમ ધોરણ-12 સાયન્સની પરીક્ષા 30 જૂનના રોજ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ધોરણ-10ની પરીક્ષા 1 જુલાઈના રોજ પૂર્ણ થઈ હતી અને હવે ગુરુવારના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ અને સહકાર પંચાયતના પેપર સાથે તમામ પરીક્ષાઓ સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. જેથી હવે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.

ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં 25 જેટલા મધ્યસ્થન મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 4 અને અમદાવાદ ગ્રામ્યમાં 4 મૂલ્યાંકન કેન્દ્રો પરથી ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે સમગ્ર રાજ્યમાં 8 જેટલા જિલ્લાઓમાં 10 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર કામગીરી શરૂૂ કરવામાં આવી છે.

જેમાં અમદાવાદ શહેરમાં 3 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરાયા હોવાનું જાણવા મળે છે. ધોરણ-10ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી રાજ્યના 9 જેટલા જિલ્લાઓમાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 9 જિલ્લાઓમાં શિક્ષણ બોર્ડ દ્વારા કુલ 27 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં વહેલી તકે મૂલ્યાંકન કામગીરી પૂર્ણ કરવા માટે કામગીરી ચાલી રહી છે. ધોરણ-10માં અમદાવાદ શહેરમાં 4 અને અમદાવાદ ગ્રામ્યમાં 4 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે.

Exit mobile version