Site icon Gujarat Mirror

26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

 

 

26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે તહવ્વુરની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે ભારતને પ્રત્યાર્પણના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી. તેણે દલીલ કરી હતી કે જો તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો ત્યાં તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવી શકે છે.

તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે તેના પ્રત્યાર્પણ પર ઈમરજન્સી સ્ટે લાદવામાં આવે. તહવ્વુરએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મારા પર ત્રાસ ગુજારવામાં આવશે અને હું ત્યાં વધુ સમય સુધી ટકી શકીશ નહીં.

મુંબઈ હુમલાના આરોપી રાણાએ પોતાની અરજીમાં ભારત પર અનેક આરોપો પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે હ્યુમન રાઈટ્સ વોચ 2023 વર્લ્ડ રિપોર્ટ જણાવે છે કે ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે અને વધુને વધુ સરમુખત્યાર બની રહી છે. તેથી, જો મને ભારતને સોંપવામાં આવશે, તો ત્યાં મને ત્રાસ આપવામાં આવશે કારણ કે હું પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છું. તેણે એવી દલીલ પણ કરી હતી કે તેની તબિયત સારી નથી અને તે પાર્કિન્સન્સ જેવી બીમારીથી પીડિત છે.

તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. હાલમાં તે લોસ એન્જલસની જેલમાં બંધ છે. તે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ડેવિડ હેડલી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે, જે 2008ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. આ હુમલામાં 175 લોકો માર્યા ગયા હતા.

ટ્રમ્પે પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન જાહેરાત કરી હતી

ફેબ્રુઆરીમાં, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમે તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. હવે તેને ભારતમાં ટ્રાયલનો સામનો કરવો પડશે. ટ્રમ્પ પ્રશાસને આ નિર્ણય ત્યારે લીધો હતો જ્યારે સુપ્રીમ કોર્ટે રાણાની અરજી ફગાવી દીધી હતી. જોકે, બાદમાં તહવ્વુર રાણાએ કોર્ટમાં બીજી અરજી દાખલ કરી હતી.

NIAએ 2011માં ચાર્જશીટ દાખલ કરી હતી

2011માં, NIAએ તહવ્વુર રાણા સહિત નવ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં તેઓ પર મુંબઈમાં 26/11ના હુમલાનું કાવતરું ઘડવાનો અને તેને અંજામ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Exit mobile version