શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં રહેતા યુવાને આર્થિક ભીંસના કારણે લોનના હપ્તા ચડી જતાં રામાપીર ચોકડી પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉદયનગરમાં રહેતા કેયુર મનીષભાઈ વાઘેલા નામનો 23 વર્ષનો યુવાન રાત્રીના રામાપીર ચોકડી પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી.
યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં કેયુર વાઘેલા બે બહેનોમાં એકનો એક ભાઈ અને અપરિણીત છે. કેયુર વાઘેલા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જુદી જુદી ત્રણ ફાયનાન્સમાંથી લીધેલી લોનના હપ્તા ચડત થઈ જતાં કેયુર વાઘેલાએ ઝેરી દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં રેલનગરમાં રહેતાં અસલમ ચાંદભાઈ ચૌહાણ (ઉ.30)એ પોતાના ઘરે ફીનાઈલ જ્યારે દેવપરામાં રહેતા વિઠ્ઠલ વિનોદભાઈ મકવાણાએ રાત્રીના આઠ વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. બન્ને યુકવને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાયા હતાં.

