રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ 10 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ હતું. ત્યારે આજે સોની વેપારી સહિત વધુ બે યુવાનોને હૃદયરોગનો હુમલો ભરખી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ રૈયા ચોકડી પાસે કિડવાઇનગર મેઇન રોડ પર રહેતા ચંદ્રેશભાઇ ગોરધનભાઇ રાણપરા (ઉ.વ.32) નામના સોની વેપારી ગઇકાલે સાંજે ઘરે હતા ત્યારે પેટમાં દુખાવો ઉપડતા ઉલ્ટી થતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ મોત નિપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેક આવતા મોત થયાનુ તબીબો દ્વારા જણાવાયુ હતું જો કે, કોઇ ઝેરી પ્રવાહી પીધાની શંકાના આધારે તબીબો દ્વારા વિશેરા લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક ચંદ્રેશભાઇ બે ભાઇમાં નાના અને સોનીબજારમાં નિકુંજ આર્ટ નામની દુકાન ધરાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
જયારે બીજા બનાવમાં બજરંગવાડી શેરી નં.8માં રહેતા રાજેશભાઇ પોપટભાઇ ધકાણ (ઉ.વ.48)ગત મોડી રાત્રે પોતાના ઘરે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજ્યુ હતું. મૃતક ચાર બહેનોનો એકનો એક ભાઇ અને કપડાના શો-રૂમમાં નોકરી કરતો હતો. હાર્ટએટેક આવતા તેમનું મૃત્યુ થયાનું ખુલવા પામ્યુ છે.

