ભાવનગર શહેરના શેલારશા ચોકથી રેલવે સ્ટેશન રોડ પર મોચી કામ કરતા એક વેપારી પાસે ચાર કિન્નરોએ 100 રૂૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ રૂૂપિયા 20 આપતા તેઓએ લેવાનો ઇનકાર કરી વેપારી પર હુમલો કર્યો હતો. પાઈપ અને ઢીંકાપાટુ વડે મારમારી વેપારીના શર્ટના ખિસ્સામાંથી રૂૂપિયા 150 લૂંટી લીધા હતા. તેમજ ભંગારની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં ચારેય કિન્નરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે ગંગાજળિયા પોલિસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહાલક્ષ્મી મીલની ચાલીમાં રહેતા અને શહેરના શેલારશા ચોકથી રેલવે સ્ટેશન રોડ પર મોચી કામ કરતા રમેશભાઈ જીવાભાઈ સોલંકી (ઉ.વ.53) એ ગંગાજળીયા પોલીસ મથકમાં નિલમ, અનીતા, મુસ્કાન અને દક્ષા નામના કિન્નર સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગઈકાલે તા. 15 ફેબ્રુઆરીના રોજ સવારે તેઓ તેની દુકાને વેપાર ધંધો કરતા હતા, ત્યારે સવારે 11.30 વાગે ચાર કિન્નર તેની પાસે આવ્યા હતા. તું દર વખતે રૂૂા. 20 કાઢીને ઉભો રહે છે. પણ આજે તો તારે 100 રૂૂપિયા આપવા પડશે, પરંતુ વેપારીએ આજે મારે હજુ કઈ વેપાર થયો નથી. મારી પાસે રૂૂા.100 નથી તેમ કહી 20 રૂૂપિયા આપ્યા હતા. જેથી કિન્નરોએ 20 રૂૂપિયા લેવાની ના પાડી વેપારીને અપમાનીત કરી તેના પર પાઈપ અને ઢીકાપાટુ વડે હુમલો કરી મારમાર્યો હતો, તેમજ વેપારીના શર્ટના ખીસ્સામાંથી રૂૂા.150 કાઢી લઈ લૂંટ ચલાવી હતી.
એટલું જ નહીં ચારેય કિન્નરોએ તેની પાસેના ભંગારની તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું. જે બાદ કિન્નરોએ કહ્યું કે, તારે પૈસા ન આપવા હોઈ તો બીજી વખત અહીંયા ધંધો કરતો નહિ અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જે દરમિયાન અન્ય વેપારીઓ ભેગા થઈ જતા કિન્નરો નાસી છૂટ્યા હતા, અને આજુબાજુના વેપારીઓ દ્વારા ઈજાગ્રસ્ત વેપારીને સરકારી દવાખાને સારવાર માટે ખસેડયો હતો. ફરિયાદના આધારે ગંગાજળીયા પોલીસે ચારેય કિન્નરો સામે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં પોલીસે નીલમકુંવર સંગીતા કુવર (ઉ.વ.42), અનિતાકુવર સંગીતાકુવર (ઉ.વ.35), મુસ્કાનકુવર નિલમકુવર (ઉ.વ. 45) અને દક્ષાકુવર રિધ્ધી કુવર (ઉ.વ.35) સહિત તમામ કિન્નરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

