જામનગરના રીક્ષા ચાલકની પરણીત પુત્રી કે જે પિતા ના ઘેર રોકાવા આવી હતી, અને પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ઘરમાં પડેલું ફિનાઈલ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહિલ નામના રીક્ષા ચાલકની પરિણીત પુત્રી જાગૃતિબેન કુલદીપ ભાઈ ધવલ(21) કે જે હાલ લાલપુરમાં શિવનગર વિસ્તારમાં રહે છે, અને પોતાના પિતાને ઘેર આટો દેવા માટે આવી હતી.
જે દરમિયાન તેણે પોતાની માનસિક બીમારી અને માથા ના દુખાવાથી કંટાળી ગઈ હતી. જેથી તેણીએ ઘરમાં પડેલું ફિનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આથી તે ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણી નું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પિતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહિલે પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

