ઈજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા: પોલીસ તપાસ જારી
હળવદમાં આવેલ પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા વેપારી આધેડ હળવદ શાકમાર્કેટ પાસે હતા ત્યારે ત્રણ શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હળવદમાં આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા અનિલભાઈ માણેકલાલ નામના 55 વર્ષના આધેડ શાક માર્કેટ પાસે હતા ત્યારે સુનિલ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રાથમિક પૂછપરછમાં અનિલભાઈ કપડાની દુકાન ધરાવે છે અને બે ભાઈ બે બહેનમાં વચેટ છે અનિલભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

