યુવાનના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કરોડોની લેતી-દેતી કરતા પશ્ર્ચિમ બંગાળ પોલીસની નોટિસ આવતા આપઘાત કર્યો
ઉપલેટામાં સાયબર ફ્રોડમાં પોલીસનું તેડું આવતા યુવાને જિંદગી ટૂંકાવી લીધાની ઘટના બાદ સ્યૂસાઈડ નોટ મળી હતી. જેમાં મૃતક યુવક પર તબીબ અને વેપારી સહિત ત્રણ શખ્સોએ દબાણ કરીને તેનું બેંકમાં એકાઉન્ટ ખોલાવી બારોબાર કરોડો રૂૂપિયાની લેતી-દેતી કર્યા બાદ ધાક-ધમકી અપાતા પગલું ભર્યાનું જણાવ્યું હોય જેના આધારે ઉપલેટા પોલીસે આપઘાત માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધીને તબીબ અને વેપારીની ધરપકડ કરી હતી.
વિગત પ્રમાણે ઉપલેટામાં રહેતા રાકેશ નાથાભાઈ વાસીયા નામના યુવાને બે દિવસ પહેલા કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. એ પહેલા તેણે એક સ્યૂસાઈડ નોટ લખી હતી જેના આધારે ગઈકાલે તેના પિતાએ ઉપલેટાના દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા ડો.ચીરાગ નરેશભાઈ ચંદ્રવાડિયા (ઉ.28) અને વેપારી ચકલી ચોરા પાસે, યાદવ રોડ ઉપલેટામાં રહેતા મેહુલ દલસુખભાઈ બારૈયા (ઉ.30) અને ધોરાજીના મોટી વાવડી ગામના ભાવીન ગોવિંદભાઈ ડઢાણીયા સામે પોતાના પુત્રએ આપઘાપ માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું કે, ત્રણેય શખ્સોએ પુત્ર રાકેશને દબાણ કરી તેના નામે બેન્કમાં ખાતુ ખોલાવી જાણ બહાર સાયબર ફોડના કરોડો રૂૂપીયાની લેતીદેતી કરી નાખી હતી. જે મામલે પશ્ચિમ બંગાળથી નોટીસ આવતા યુવાને ત્રણેયને વાત કરતા તારા બેન્ક એકાઉન્ટનો અમારે ઉપયોગ કરવાનો છે, જેલમા તારે જ જવાનુ છે. તેવી બીક બતાવી ત્રાસ આપતા આપઘાત માટે મજબૂર થવું પડયું હતું. જેના આધારે પોલીસે આજે ડો. ચિરાગ ચંદ્રવાડીયા અને વેપારી મેહુલ બારૈયાની ધરપકડ કરી હતી.

