Site icon Gujarat Mirror

મંદિરોના નિર્માણ પછી દેવ હોય પરંતુ નિત્ય દર્શનથી જ દેવત્વ રહે : મોરારિબાપુ

ગોહિલવાડનાં ગૌરવરૂૂપ સંપિલા ગામ સણોસરામાં શ્રી રામજી મંદિર નવનિર્માણ પ્રાણપ્રતિષ્ઠા સાથે ધર્મસભા યોજાઈ જેમાં મોરારિબાપુએ કહ્યું કે, મંદિરોના નિર્માણ પછી દેવ હોય પરંતુ નિત્ય દર્શનથી જ દેવત્વ રહે છે.
શુક્રવારથી રવિવાર દરમિયાન સણોસરામાં શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ત્રિદિવસીય મહોત્સવ યોજાઈ ગયો. અહીંયા શ્રી રામ દરબાર, શ્રી રાધા કૃષ્ણજી તથા શ્રી બહુચર માતાજી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ છે.

ગોહિલવાડનાં ગૌરવરૂૂપ સંપિલા ગામ સણોસરામાં આ ધર્મ પ્રસંગ પ્રાણપ્રતિષ્ઠા સાથે ધર્મસભા યોજાઈ જેમાં સંતો મહંતોની ઉપસ્થિતિ રહી. અહીંયા મોરારિબાપુએ આ ગામની એકતા અને ધર્મનિષ્ઠાની પ્રસન્નતા વ્યક્ત કરી કહ્યું કે, મંદિરોના નિર્માણ પછી દેવ હોય પરંતુ નિત્ય દર્શનથી જ દેવત્વ રહે છે. આમ કહી સૌને મંદિર દર્શન વંદના માટે ભાર મૂક્યો.

મોરારિબાપુએ સનાતન ધર્મ પરંપરાના પંચ દેવનો ઉલ્લેખ કરી તે ટકાવી રાખવા ટકોર કરી અને સનાતન શાસ્ત્રોનો ઉલ્લેખ કરી તીર્થ મંદિર, ગામ મંદિર, ઘર મંદિર અને હૈયા મંદિર, એમ ચાર મંદિરમાં પ્રભુનો વાસ હોવાનું જણાવ્યું.

આ પ્રસંગે કણિરામજીબાપુએ ઉદ્બોધન કરતાં સણોસરાની ધર્મ પરાયણતા બિરદાવી માળાના મણકા જેમ સૌ ગ્રામજનોએ એક બની મંદિર નિર્માણથી પ્રભાવિતભાવ વ્યક્ત કર્યો. તેઓએ જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસ ટકાવી રાખવા પણ કહ્યું. કાર્યક્રમમાં રાજ્યનાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ સૌના વિકાસ માટે એકતાની અનિવાર્યતા રહેલી છે, તેમ જણાવી આ ગામની સામાજિક સમરસતા સાથે સંસ્કૃતિના આ કાર્યને ખૂબ બિરદાવ્યું.

આ ધર્મ પ્રસંગે મેહુરભાઈ લવતુકા, રઘુભાઈ આહિર, ગોકુળભાઈ આલ અને ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા પ્રાસંગિક વાતો પ્રસ્તુત થઈ હતી. મંદિરના પૂજારી હરજીવનદાસ દુધરેજિયાના સંકલન સાથે બાબુરામ ભગત, પ્રવિણબાપુ સહિત સંતો, મહંતો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સંચાલનમાં વિજયભાઈ ચૌહાણ રહ્યાં. આભારવિધિ વિનુભાઈ લીંબાણીએ કરી હતી.

ત્રિદિવસીય પ્રતિષ્ઠા વિધીમાં આચાર્યપદે અલ્પેશભાઈ પાઠક રહ્યાં હતાં. ગામની તમામ જ્ઞાતિઓ, વિવિધ મંડળો સાથે દાતાઓ, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અને ગ્રામજનોએ ખૂબ ભાવ હૈયા સાથે પ્રસાદ ભોજન અને સેવા લાભ લીધો.

 

Exit mobile version