Site icon Gujarat Mirror

વૃદ્ધાશ્રમ છે એટલે નિરાધાર, નિ:સહાય વૃદ્ધો ટકી રહ્યાં છે: મહંત દેવપ્રસાદજી

આણંદબાવા સંસ્થા, જામનગરના પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુએ વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં હાજરી આપી હતી. દેવપ્રસાદજી બાપુએ પોતાની વાણીનો લાભ આપતા જણાવ્યું કે, હું વૃદ્ધાશ્રમ ચલાવું છું એટલે મને ખબર છે કે વૃદ્ધાશ્રમ ચલાવવા કેટલા કઠિન છે. સૌ કહેતા હોય છે કે ભારતમાં વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ, પરંતુ આપણે આપણી જાતને પૂછીએ કે જે નિરાધાર, નિ સહાય, નિ:સંતાન વૃદ્ધો છે તે વૃદ્ધાશ્રમ ન હોત તો ક્યાં જાત ? વૃદ્ધાશ્રમ છે એટલે આ બધા ટકી રહ્યા છે. પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુએ જણાવ્યું કે આપણી પાસે બે વિકલ્પ હોય છે કાં તો આપણે આપણી સંપત્તિને મૂકીને જઈએ અથવા આપીને જઈશું તો આવતા જન્મનું પુણ્યનું ભાથું બંધાશે. જે લોકોએ આ સેવા કાર્યમાં અનુદાન આપ્યું છે તેમણે આવતા જન્મનું ભાથું બાંધ્યું છે.

પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુએ એમ પણ કહ્યું કે જો તમારા ઘરમાં માતા પિતા અને વડીલો છે તો તમારી પાસે ખૂબ મૂડી છે એમ સમજજો. ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી જ્યાં વૃદ્ધાશ્રમ નથી એ વાસ્તવિકતા છે પણ વૃદ્ધાશ્રમો છે એટલે આશરો છે, સૌ ટકી રહ્યા છે. પુજ્ય મહંતશ્રી દેવપ્રસાદજી બાપુએ ટકોર કરી કે પાંચ દીકરાની મા વૃદ્ધાશ્રમમાં જોવા મળશે પણ પાંચ દીકરીઓની મા વૃદ્ધાશ્રમમાં જોવા નહિ મળે. નિ:સંતાન, પથારીવશ, કોમાગ્રસ્ત વૃધ્ધો અને વૃક્ષો માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દિવ્ય અને ભવ્ય કામ થઈ રહ્યું છે.

Exit mobile version