શૈલેષ જાની સહિત એક ડઝન આગેવાનોને શહેર ભાજપ પ્રમુખના ઘરે સાંભળ્યા, આગામી સમયમાં રજૂઆતો ધ્યાને લેવા આશ્ર્વાસન
રાજકોટ મહાનગર પાલિકાના 72 ઉમેદવારોના નામની યાદી જાહેર થતા શહેર ભાજપના કાર્યકર્તા આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી અને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા પૂર્વે શૈલેષ જાનીના બદલે નેહલ શુકલા ને મેન્ડેડ આપી દેવામાં આવતા નારાજ થયેલા શૈલેષ જાની સહીત એક ડઝન જેટલા કાર્યકર્તાઓને મળી ખુદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા અસંતોષ ખાળવા પ્રયાસ કર્યો હતો. રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવેના નિવાસ્થાને તમામ નારાજ કાર્યકર્તાને બોલાવી આશ્વાસન આપવામાં આવ્યું હતું અને પાર્ટી તેમની રજુઆત આગામી સમયમાં પણ ધ્યાનમાં લેશે તેવો દિલાસો આપવામાં આવ્યો હતો.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે, જ્યાં આજે સવારે રેસકોર્સ બહુમાળી ભવન ખાતે જનસેવા સંકલ્પ સભા સંબોધન બાદ તેઓ શહેર અધ્યક્ષ ડો.માધવ દવેના નિવાસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમને ટિકિટ ફાળવણી બાદ નારાજ થયેલા કાર્યકર્તાને બોલાવ્યા હતા અને તેમની સાથે ચાય પે ચર્ચા કરી હતી અને અસંતોષ ખાળવા પ્રયાસ કર્યો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના નિવાસ્થાને નારાજ થયેલા લગબઝ એક ડઝન જેટલા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શૈલેષ જાની(યાદીમાં નામ આવ્યા બાદ ટિકિટ કપાઈ), હેમુ પરમાર, નીતિન રામાણી, શૈલેષ ડાંગર, સુરેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્ર ભગત, સંજય દવે, જીગ્નેશ જોષી સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે.
રાજકોટના વોર્ડ નંબર 7માંથી ભાજપ દ્વારા શૈલેષ જાનીને ટિકિટ આપવામાં આવી હતી જો કે ફોર્મ ભરવા માટે મેન્ડેટની ફાળવણી સમય આ મેન્ડેટ શૈલેષભાઇના બદલે પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલને આપી દેવામાં આવી હતી. શૈલેષ જાની કે જેઓ રાજકોટમાં શિક્ષણ જગતમાં ખુબ સારી નામના ધરાવે છે. તેમને છેલ્લી ઘડીએ મેન્ડેટ ન આપતા આ બાબતની નારાજગી પ્રદેશ પ્રમુખ સમક્ષ વ્યક્ત કરી હતી જો કે પ્રદેશ પ્રમુખ તેમને નારાજગી વ્યાજબી હોવાનું કહી પક્ષ તેમની કાર્યકર્તા તરીકેની મહેનતની નોંધ જરૂૂર લેવામાં આવશે તેવું વચન આપ્યું હતું.
આ ઉપરાંત વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર નીતીન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળાએ તેમને કાપવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે આ જ વોર્ડના શૈલેષ ડાંગર કે જેના માતા-પિતા બન્ને અગાઉ કોર્પોરેટર રહી ચુક્યા હોવાથી તેમની બાદબાકી કરવામાં આવતા તેઓ પણ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા હોવાનું જણાવી દાવેદારી નોંધાવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય નારાજ કાર્યકર્તાઓએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન આપવામાં આવી હોવાની અને વોર્ડ પ્રમુખ કે પ્રભારીના સંકલનમાં પણ ન હોય તેવા લોકોને ટિકિટ ફાળવણી થઇ હોવાની રજુઆત કરી હતી.
પ્રદેશ પ્રમુખ દ્વારા તમામ નારાજ કાર્યકર્તાને સાંભળી તેમને આશ્વાસન આપ્યું હતું અને આપણો ઉમેદવાર કમળ હોવાનું કહી બધા એક સાથે મળી ભાજપના તમામ ઉમેદવારને જીતાડવા મહેનત કરીએ તેવી સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે ટિકિટ કપાતા કેટલાક પૂર્વ પદાધિકારીઓ નિષ્ક્રિય બની ગયા હોવાનો પણ ગણગણાટ ચાલી રહ્યો છે ત્યારે આ નારાજગીની અસર ચૂંટણી પરિણામ પર કેવી અને કેટલી જોવા મળશે તે જોવું મહત્વનું રહેશે.
પૂર્વ ધારાસભ્યએ મારી ટિકિટ કાપી, 35 વર્ષની મજૂરીનું પરિણામ શું?
વોર્ડ નંબર 17 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુ ઘવાના નજીકના વિઠ્ઠલભાઈએ જણાવ્યુ હતુ કે, મારી ટિકિટ છેલ્લે સુધી ફાઈનલ હતી. જોકે હું બીજા વોર્ડમાં રહું છું તેવું બહાનું કાઢી મારી ટિકિટ કાપવામાં આવી છે. હું વર્ષ 1990 થી એટલે કે 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું. જેમાં બે વખત વોર્ડ પ્રમુખ, બે વખત વોર્ડ ઉપપ્રમુખ, એક વખત મહામંત્રી, શહેરના કિસાન મોરચાના ઉપપ્રમુખ અને 7 વખત સક્રિય સભ્ય રહી ચૂક્યો છું અને 25 વર્ષથી હરિ ઘવા માર્ગ પર ભાજપનો કાર્યાલય મંત્રી રહી ચૂક્યો છું. આમ છતાં પણ તેઓ કહે છે કે તમે બોર્ડની અંદર રહેતા નથી તો 35 વર્ષ સુધી કામ કર્યું તેનું શું? મારી ટિકિટ શહેરના આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય દ્વારા કાપવામાં આવી છે. હવે કામ કરવા ક્યાં જવું તેનો પ્રદેશ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ જવાબ આપે. પ્રદેશ મહામંત્રી કાર્યાલયમાંથી મને ટિકિટ ફાઈનલ થયાનો ફોન આવ્યો હતો. જોકે તે બાદ મારી ટિકિટ કાપવામાં આવી. હવે ચૂંટણી આવી રહી છે ત્યારે પાર્ટી એવું કહે છે કે આ મારો વોર્ડ જ નથી તો મારે કામ કઈ રીતે કરવું. મેં 35 વર્ષ કામ કર્યું ત્યાં સુધી મારું કાર્યક્ષેત્ર હતું પરંતુ હવે ટિકિટ દેવાનું સમય આવ્યો ત્યારે મારું કાર્યક્ષેત્ર અન્ય હોવાનું કહેવામાં આવ્યું.

