રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન શાસકોની મુદત આજે પુરી થતા પ્રમુખ સહિતના તમામ હોદ્દેદરોએ પોતાની ઓફિસો ખાલી કરી સરકારી વાહનો ડીડીઓને સોંપી દીધા હતાં. કોંગ્રેસ-ભાજપના તમામ સભ્યોએ બોલ્યુ-ચાલ્યુ માફ કરી વિદાય લીધી હતી. જોકે, નવા વહીવટદારની નિમણૂક અંગે રાજ્ય સરકાર દ્વારા બપોર સુધી કોઈ સત્તાવાર જાહેરનામું (નોટિફિકેશન) પ્રસિદ્ધ કરવામાં આવ્યું ન હતું. રાજકોટ જિલ્લા પંચાયતના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને અન્ય સમિતિઓના ચેરમેનો આજે તેમનો છેલ્લો દિવસ છે.
સાંજ સુધીમાં તેઓ પોતાની ચેમ્બરો અને સરકારી વાહનો સોંપી દે તેવી શક્યતા છે. લોકશાહી શાસનની મુદત પૂરી થતા જ વહીવટની ધુરા ’વહીવટદાર’ ના હાથમાં જતી હોય છે. સામાન્ય રીતે આ જવાબદારી જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ સ્પષ્ટ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. બપોર સુધી જિલ્લા પંચાયતની કચેરીએ કોઈ લેખિત સૂચના ન મળતા અધિકારીઓ પણ મુંઝવણમાં જોવા મળ્યા હતા.”ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ આજે પૂરી થઈ રહી છે. સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક અંગેનું નોટિફિકેશન જાહેર થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.”

