Site icon Gujarat Mirror

આ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ

 

દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 કલાકે યોજાશે. નવા સીએમ કેબિનેટ સભ્યો સાથે રામલીલા મેદાનમાં શપથ લેશે. આ માટેની તૈયારીઓ રામલીલા મેદાનમાં શરૂ થઈ ગઈ છે.

શપથ ગ્રહણ અને સરકારની રચનાને લઈને આજે સાંજે ભાજપની બેઠક થશે. બેઠકમાં ધારાસભ્ય પક્ષની બેઠકનો સમય અને તારીખ નક્કી કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહના પ્રભારી વિનોદ તાવડે અને તરુણ ચુગ બેઠકમાં હાજર રહેશે.

દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને દિલ્હી બીજેપી સંગઠનના અધિકારીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં શપથગ્રહણની તૈયારીઓ, બેઠક વ્યવસ્થા અને ગેસ્ટ લિસ્ટને આખરી ઓપ આપવામાં આવશે.

ભાજપે મોટી જીત હાંસલ કરી છે

5 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટી 27 વર્ષ બાદ સત્તામાં આવી છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી છે. જ્યારે AAPને 22 બેઠકો મળી હતી. 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. હવે વિરોધ પક્ષો મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં વિલંબ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આજે જ કાર્યકારી સીએમ આતિશીએ કહ્યું કે, દિલ્હી ચૂંટણીના પરિણામો આવ્યાને દસ દિવસ વીતી ગયા છે. દિલ્હીના લોકોને આશા હતી કે 10 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ સમારોહ થશે અને ત્યારબાદ તેમનું કામ શરૂ થશે, પરંતુ જનતા રાહ જોતી રહી. આનાથી સાબિત થયું છે કે ભાજપ પાસે દિલ્હી સરકાર ચલાવવા માટે એક પણ સીએમ ચહેરો નથી.

કોણ છે સીએમ પદની રેસમાં?

મુખ્યમંત્રી પદની રેસમાં પ્રવેશ વર્મા, ભાજપના દિલ્હી એકમના પૂર્વ અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા અને સતીશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આ સાથે પવન શર્મા, આશિષ સૂદ, રેખા ગુપ્તા અને શિખા રાય સહિત અન્યોને પણ મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. પ્રવેશ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પરથી AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. તે જાટ સમુદાયમાંથી આવે છે.

જો કે, ભાજપના ઘણા નેતાઓનું માનવું છે કે રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢની જેમ ભાજપ નેતૃત્વ નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી કોઈપણ એક પર દાવ લગાવી શકે છે.

Exit mobile version