સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ઇઈઅ સેમેસ્ટર 5માં આજે 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું પેપર હતુ. જેમાં યુનિવર્સિટી સંલગ્ન જામનગરની એચ. જે. દોશી કોલેજના અધ્યાપક દ્વારા જે પેપર કાઢવામાં આવ્યું હતું. જોકે તેમના દ્વારા પોતાની કોલેજમાં જે ઇન્ટર્નલ પરીક્ષામાં પેપર કાઢવામાં આવ્યું હતું તે જ પેપર સેટ કરી અને યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષા માટે આપી દેતા તેની કોલેજના વિદ્યાર્થીઓને ફાયદો થયો હતો. આ પ્રકારના આક્ષેપ સાથે ABVPએ યુનિવર્સિટીમાં કુલસચિવ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં રામધૂન પણ બોલાવવામાં આવી હતી. જેથી યુનિવર્સિટી તંત્ર દ્વારા જવાબદારો સામે કડક પગલાં લેવા માટેની બાયંધરી આપવામાં આવી હતી.
ABVPના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ધરમ સોઢીયાની આગેવાનીમાં થયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, બીસીએસ સેમેસ્ટર-5ના પ્રોગ્રામિંગ ઇન પાયથન વિષયના પેપરમાં છબરડા સામે આવ્યા હતા. જામનગરની એચ.જે.દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં લેવાયેલું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં લેવામાં આવ્યું હતું. બંને પેપર એક સરખા હતા. જેથી પેપર સેટ કરનાર અધ્યાપકની મિલીભગત હોવાનું સામે આવ્યું હતુ. જેથી જે લોકો આ પરીક્ષાની પ્રક્રિયામાં સંડોવાયેલા છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના આ પ્રશ્નને લઈને યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે તે સમયે કુલપતિ હાજર ન હોવાથી ઇન્ચાર્જ રજીસ્ટ્રાર મનીષ ધામેચાને રજૂઆત કરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રશ્ન પરીક્ષા વિભાગનો હોવાથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનીષ શાહ અને ઘજઉ નિલેશ સોનીને જાણ કરવામાં આવી હતી. જે બાદ કુલપતિ દ્વારા જવાબદારો સામે કડક પગલાં ભરવા બાંયધરી આપી હતી.

