જામનગરની એક ખાનગી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સ્કૂલની શિક્ષિકાએ માર માર્યો હોવાનો મામલો સ્કૂલ સંચાલકો સુધી પહોંચ્યા પછી કોઈ નિષ્કર્ષ નહીં આવતાં આખરે પોલીસ મથક સુધી મામલો પહોંચ્યો છે, જેથી ભારે ખળભળાટ મચી ગયો છે.જામનગરમાં આવેલી કાલિંદી સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેની શિક્ષિકાએ ગાલ પર તમાચા મારી દેતાં બાળકને ઇજા ના નિશાનો બન્યા હતા.
વિદ્યાર્થીઓને લાઈનમાં લઈ જવાતા હતા, જે દરમિયાન એક વિદ્યાર્થી લાઈનની બહાર નીકળી જતાં શિક્ષિકાએ ઉસકેરાઈ જઇ માર માર્યો હોવાથી વિદ્યાર્થી ઈજાગ્રસ્ત બન્યો હતો.તેણે રડતાં રડતાં પોતાના વાલી પાસે સમગ્ર બનાવની વાત કરી હોવાથી વિદ્યાર્થીના વાલીઓ દ્વારા તાત્કાલિક અસરથી સમગ્ર મામલે શાળા ના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ શાળા સંચાલકો દ્વારા કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો.આખરે આજે સવારે આ મામલાને પોલીસ મથકે લઈ જવાયો છે, અને પોલીસ સમગ્ર બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસમાં જોડાઈ છે.નજીકના ભવિષ્યમાં આ પ્રકરણમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેમ જાણવા મળી રહ્યું છે.
શાળા સંચાલકોનો દાવો સીસીટીવીમાં કોઈ પુરાવા નથી
જામનગરની કાલિંદી સ્કૂલમાં ધોરણ પાંચના વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીના વાલીઓએ આ અંગે શાળા સંચાલકોને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.વિદ્યાર્થીના વાલીઓનો આરોપ છે કે, સ્કૂલમાં લાઇનમાં ઉભા રહેવા દરમિયાન શિક્ષિકાએ તેમના બાળકને ગાલ પર તમાચો માર્યો હતો, જેના કારણે બાળકને ઇજા થઈ હતી. જ્યારે તેમણે આ અંગે શાળા સંચાલકોને રજૂઆત કરી ત્યારે શાળા સંચાલકોએ કોઈ યોગ્ય જવાબ આપ્યો નહોતો.જોકે, શાળા સંચાલકોનો દાવો છે કે, તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યું હતું પરંતુ તેમાં કોઈ એવો દ્રશ્ય ન મળ્યો કે જેમાં શિક્ષિકા વિદ્યાર્થીને માર મારતી હોય. તેમનું કહેવું છે કે, વિદ્યાર્થીના ગાલ પર જે નિશાન છે તે કોઈ ઝાપટનું નહીં પરંતુ ખંજવાળનું હોઈ શકે છે.

