Site icon Gujarat Mirror

ચિઠ્ઠી-ચબરખી કે ડાયરીના રોકડ વ્યવહારોના આધારે ટેકસ ચોરી નક્કી થઈ શકે નહીં

ગુજરાત ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)નો દુરોગામી અસર કરે તેવો ચુકાદો

અમદાવાદના બિલ્ડર ઉપર ‘ઓન-મની’ લેવડ દેવડનો ઈન્કમટેક્સ વિભાગનો આરોપ ફગાવ્યો

ગુજરાત ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે એક મહત્વપુર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે, રોકડ વ્યવહારોના ડાયરી કે ચિઠ્ઠી-ચબરખીના આધારે કોઈ વ્યક્તિને ટેક્સ ચોરી માટે જવાબદાર ગણીશકાય નહીં. આઈ.ટી.એ.ટી.નો આ ચુકાદો ખાસ કરીને રીયલ એસ્ટેટ સેક્ટર માટે મોટી રાહત આપનારો સાબિત થઈ શકે છે. અને ચિઠ્ઠીના આધારે રોકડ વ્યવહારોના ઈન્કમટેક્સ વિભાગે કરેલા સંખ્યાબંધ કેસોને પણ અસર કરી શકે છે.

અમદાવાદ ITAT સમક્ષ આવેલા એક કેસમાં, આવકવેરા વિભાગે અન્ય એક બિલ્ડર જૂથ પરના દરોડા દરમિયાન મળી આવેલી ડાયરી અને ડિજિટલ ડેટાના આધારે એક કરદાતા પર કરોડો રૂૂપિયાના ’ઓન-મની’ લેવડદેવડનો આરોપ મૂક્યો હતો. વિભાગનું કહેવું હતું કે મિલકતની ખરીદીમાં દસ્તાવેજની કિંમત કરતા વધુ રકમ રોકડમાં ચૂકવવામાં આવી છે. જોકે, ટ્રિબ્યુનલે આ દલીલને નકારતા અવલોકન કર્યું કે જે ડાયરી કે નોંધપોથી મળી આવી છે, તેના પર કરદાતાની સહી નથી કે તે તેમના કબજામાંથી મળી નથી. કાયદાકીય દ્રષ્ટિએ, જ્યાં સુધી નાણાંની વાસ્તવિક આપ-લે થઈ હોય તેવા નક્કર પુરાવા ન મળે, ત્યાં સુધી માત્ર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવેલી નોંધના આધારે કોઈને જવાબદાર ગણી શકાય નહીં.

આ ચુકાદામાં ટ્રિબ્યુનલે વધુમાં ઉમેર્યું કે ’સરમાઈઝ એન્ડ ક્ધજેક્ચર’ એટલે કે માત્ર અટકળો અને અનુમાનો પર આધારિત ટેક્સની આકારણી કાયદાના દાયરામાં ટકી શકે નહીં. આવકવેરા અધિકારીઓએ સાબિત કરવું પડે કે રોકડ રકમ ખરેખર ક્યાંથી આવી અને કોને મળી. નિષ્ણાતોના મતે, આ ચુકાદાથી એવા કરદાતાઓને રક્ષણ મળશે જેઓ અન્ય વ્યક્તિઓના નાણાકીય ગોટાળામાં બિનજરૂૂરી રીતે ફસાઈ જતા હોય છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં થતા વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે વિભાગ પ્રયત્નશીલ છે, પરંતુ પુરાવા વિનાની કાર્યવાહી કોર્ટમાં ટકતી નથી તેવું આ ચુકાદાથી ફરી એકવાર સાબિત થયું છે. આ આદેશથી હવે આકારણી અધિકારીઓએ કોઈ પણ પ્રકારના રોકડ વ્યવહારના કેસમાં વધુ ઊંડાણપૂર્વક અને દસ્તાવેજી પુરાવા સાથે તપાસ કરવી પડશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બિલ્ડરો ઉપર ઈન્કમટેક્સના દરોડા પડે ત્યારે સહી વગરની ચિઠ્ઠીઓ અને ડાયરીઓના આધારે થયેલા દરોડા રૂપિયાના વ્યવહારો ઝડપાય છે. અને આવા કાચા વ્યવહારોના આધારે કરચોરીની આકારણી કરતા હોય છે. હવે જ્યારે ટ્રિબ્યુનલે ડાયરી કે નોંધપોથીમાંથી સહી વગર મળતા વ્યવહારો અંગે કોઈની જવાબદારી ગણી શકાય નહીં તેવો ચુકાદો આપતા બિલ્ડરલોબીને મોટી રાહત મળે તેવા અણસાર છે.

કરચોરીના હજારો કેસોને અસર થશે?
ગુજરાત ઈન્કમટેકસ એપેલેટ ટ્રિબ્યુનલે ડાયરી કે ચિઠ્ઠી-ચબરખાના આધારે થયેલી રોકડ લેવડ-દેવડના ?વ્યવહારો અંગે કરદાતાની જવાબદારી નક્કી કરી શકાય નહીં તેવો ચુકાદો આપતાં ગુજરાતમાં ઈન્કમટેકસના હજારો કેસોને અસર થવાની શકયતા છે. ઈન્કમટેકસ વિભાગ દ્વારા રેડ દરમિયાન મળી આવતી નાણાકીય વ્યવહારની કાચી નોંધો અને ડાયરીઓના આધારે ઓન-મની ટ્રાન્ઝેકશનો ગણી લઈ અનેક કરદાતાઓ સામે ઈન્કમટેકસ ચોરીના કેસ કરેલ છે ત્યારે એપેલેટનો આ ચુકાદો આવા કેસો માટે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. જો કે, ઈન્કમટેક્ષ વિભાગ આ ચુકાદા સામે કાનુની લડાઈ લડે ત્યારાદ શું પરિણામો આવે છે તે જોવાનું રહ્યું.

Exit mobile version