Site icon Gujarat Mirror

ધોરણ-12ની પરીક્ષામાં ઇતિહાસનું પેપર નબળું જતાં વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટના થોરાળાનો યુવાન સારવારમાં ગઇકાલે ઘરે ફીનાઇલ પીધું હતું

શહેરમાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓ વચ્ચે એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા અને ધોરણ-12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં આવી ફિનાઈલ પી લેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, થોરાળા શેરી નંબર 2 માં રહેતા અશ્વિનભાઈ ગોવિંદભાઈ મકવાણા (ઉંમર વર્ષ 17) ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા.

આ દરમિયાન તેમણે અચાનક ફિનાઈલ પી લીધું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતા જ દોડધામ મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

આ આત્મઘાતી પગલાં પાછળનું કારણ તપાસતા જાણવા મળ્યું છે કે, અશ્વિન ધોરણ-12 સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી છે. હાલમાં જ લેવાયેલી ઇતિહાસ વિષયની પરીક્ષાનું પેપર અપેક્ષા મુજબ ન જતાં અને પેપર નબળું ગયું હોવાના ડરથી તે માનસિક તણાવમાં હતો. ’નાપાસ થઈશ તો શું થશે?’ તેવા ડર અને હતાશામાં આવી જઈને આશાસ્પદ તરુણે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.અશ્વિનના પિતા ગોવિંદભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અશ્વિન બે બહેનોનો એકનો એક ભાઈ છે.

Exit mobile version