રાજકોટના થોરાળાનો યુવાન સારવારમાં ગઇકાલે ઘરે ફીનાઇલ પીધું હતું
શહેરમાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓ વચ્ચે એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા અને ધોરણ-12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં આવી ફિનાઈલ પી લેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, થોરાળા શેરી નંબર 2 માં રહેતા અશ્વિનભાઈ ગોવિંદભાઈ મકવાણા (ઉંમર વર્ષ 17) ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા.
આ દરમિયાન તેમણે અચાનક ફિનાઈલ પી લીધું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતા જ દોડધામ મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.
આ આત્મઘાતી પગલાં પાછળનું કારણ તપાસતા જાણવા મળ્યું છે કે, અશ્વિન ધોરણ-12 સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી છે. હાલમાં જ લેવાયેલી ઇતિહાસ વિષયની પરીક્ષાનું પેપર અપેક્ષા મુજબ ન જતાં અને પેપર નબળું ગયું હોવાના ડરથી તે માનસિક તણાવમાં હતો. ’નાપાસ થઈશ તો શું થશે?’ તેવા ડર અને હતાશામાં આવી જઈને આશાસ્પદ તરુણે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.અશ્વિનના પિતા ગોવિંદભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અશ્વિન બે બહેનોનો એકનો એક ભાઈ છે.

