Site icon Gujarat Mirror

જામનગર જિલ્લામાં અકસ્માતની હાર માળા ; જૂદા-જૂદા 3 અકસ્માત સર્જાયા

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માતો ની હારમાળા સર્જાઇ હતી. સૌ પ્રથમ અંબર ચોકડી પાસે ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ નાના બાળકો ઘાયલ થયા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે પૂલની નીચે ઝુપડા બાંધીને રહેતા પરિવારના ત્રણ બાળકો કે જેઓ રોડ નજીક રમી રહ્યા હતા, તેઓને ઠોકરે ચડાવતાં ત્રણેય બાળકો ઇજાગ્રસ્ત બન્યા હતા, અને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

આ અકસ્માત બનાવ બાદ ઝૂંપડપટ્ટીના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને કારને રોકાવીને તેના પર પથ્થર મારો કરી કારમાં તોડફોડ કરી નાખી હતી, જ્યારે કારના ચાલકને બહાર કાઢીને તેના કપડાં ફાડીને ધોકાવી નાખ્યો હતો, જેથી કારચાલક ઇજાગ્રસ્ત થઈને માર્ગ પર ઢળી પડ્યો હતો. જોકે તે દરમિયાન પોલીસ ટુકડી આવી ગઈ હતી, અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.

અકસ્માત નો બીજો બનાવ ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં બન્યો હતો. એક એસટી બસ ની સાથે બાઈક ચાલક ટકરાયો હતો. બાઈક ચાલક ને ટક્કરની સાથે સામાન્ય ઇજા થઈ હતી, પરંતુ તેણે પોતાનું બાઈક બસની આડે ઉભુ રાખી દીધૂ હતું. ત્યારબાદ એસટી બસના ચાલક, કંડકટર, અને બાઈક ચાલક વચ્ચે રકઝક ચાલી હતી. જે સમય દરમિયાન ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. જોકે પોલીસ ટુકડી દોડી આવી હતી અને ત્યાં પણ મામલો થાળે પાડ્યો હતો.

અકસ્માત નો ત્રીજો બનાવ જામનગરમાં કાલાવડનાકા બહાર બન્યો હતો. એક રિક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને ગોળાઈમાંથી ટર્ન લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ડબલ સવારી બાઈક ના ચાલકે રિક્ષાને ઠોકર મારી દીધી હતી અને ધડાકાભર બાઈક માર્ગ પર અથડાઈને પલટી મારી ગયું હતું, જેથી બંને બાઈક સવાર ઇજાગ્રસ્ત બન્યા હતા. સાથો સાથ રીક્ષા પણ માર્ગ ઉપર આડે પડખે થઈ હોવાથી તેનો ચાલક પણ ઈજાગ્રસ્ત બન્યો હતો, અને 108 ની ટીમે ત્રણેય ઇજાગ્રસ્તો ને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યારે પોલીસ તંત્ર દોડતું થયું હતું.

Exit mobile version