બિહારથી ત્રણ સહેલીઓ ભાગી, સુરત આવી બે સખીઓએ લગ્ન કર્યા અને ત્રીજી સાળો બની ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસે પકડતા બહાર આવી ચોંકાવનારી સ્ટોરી
સુરતમાંથી પતિ-પત્ની અને સાળાનો એક ગજબ પરિવાર ઝડપાતા પોલીસ પણ ચકરાવે ચડી છે. પોલીસે તપાસ કરતા પતિ પણ છોકરી નિકળ્યો…. ત્રણ સહેલીઓએ ભાગીને સુરતમાં વિચિત્ર ઘરસંસાર શરૂ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર ઘટના ઉપર નજર નાખીએ તો બિહારના નવાદાથી ત્રણ સહેલીઓ ગુમ થઈ હતી આ અંગે ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાતા પગેરુ સુરત સુધી નિકળ્યું હતું. પોલીસે સુરતમાંથી ત્રણેય સહેલીઓને ઝડપી લેતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
ગામમાં આ સમાચાર ફેલાતાં બધા સ્તબ્ધ થઈ ગયા. આ મામલો અકબરપુર બ્લોક વિસ્તારનો છે. મંગળવારે નેમદારગંજ પોલીસ અને સુરત પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણેયને શોધી કાઢી હતી. 19 જુલાઈના એક જ શાળામાં ભણતી ત્રણ સગીર બહેનો તેમની માર્કશીટ લાવવાના બહાને ઘરેથી નીકળી ગઈ. બે છોકરીઓ એક ગામની હતી, જ્યારે ત્રીજી બીજા ગામની હતી. ત્રણેય સાથે રહેવાની યોજના બનાવી ભાગી છૂટી હતી.
ગુમ થયા પછી, પરિવારના સભ્યોએ બે દિવસ સુધી તેમની શોધખોળ કરી. પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં. તેનાથી કંટાળીને, 21 જુલાઈના નેમદારગંજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે ત્રણેય છોકરીઓ સુરતના પટેલ નગરમાં એક કાપડ મિલમાં કામ કરતી હતી. ચોંકાવનારી વાત એ હતી કે બે છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા, જેમાં એક દુલ્હન બની હતી અને બીજીએ પતિની ભૂમિકા ભજવી હતી. ત્રીજી છોકરી તેમની સાથે સાળા તરીકે રહેતી હતી.
સુરત અને નેમદારગંજ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી બાદ, ત્રણેય છોકરીઓને શોધી કાઢવામાં આવી અને નવાદા લાવવામાં આવી. જ્યારે ત્રણેયને પોલીસ સ્ટેશન લાવવામાં આવી, ત્યારે એક છોકરીના માંગમાં સિંદૂર અને બીજી તેના પતિ તરીકે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્રીજી છોકરીનો સાળા તરીકે પરિચય આ કેસને ચર્ચાનો વિષય બનાવ્યો. આ ઘટના ફક્ત નવાદામાં જ નહીં પરંતુ સમગ્ર બિહારમાં લોકોમાં જિજ્ઞાસા અને ચર્ચાનું કારણ બની છે.
નેમદારગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિનય કુમારના જણાવ્યા અનુસાર, આ એક અસામાન્ય કેસ છે અને પોલીસ તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરી રહી છે. છોકરીઓના નિવેદનો નોંધાયા પછી જ સ્પષ્ટ થશે કે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કઈ દિશામાં કરવામાં આવશે.

