Site icon Gujarat Mirror

હળવદના રણમલપુર ગામે માતા ભાગી જતાં પુત્રએ કર્યો આપઘાત

હળવદના રણમલપુર ગામે રહેતા યુવાને માતા ભાગી જતાં આવેશમાં આવી ઝેરી દવા પી લીધી હતી. યુવાનનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા મુકેશ બાબુભાઈ આદીવાસી નામનો 22 વર્ષનો યુવાન રણમલપુર ગામે હતો ત્યારે બપોરના સમયે જેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસચોકીના સ્ટાફે હળવદ પોલીસને જાણ કરતા હળવદપોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક મુકેશ આદીવાસી મુળ પંચમહાલ પંથકનો વતની હતો. અને ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતો. મુકેશ આદીવાસી રણમલપુર ગામે પરિવાર સાથે પેટિયુ રળવા આવ્યો હતો. માતા સુરજબેન ભાગી જતાં પુત્ર મુકેશ આદીવાસીએ આવેશમાં આવી ઝેર પી જીવન ટુંકાવ્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version