Site icon Gujarat Mirror

વાડીની ફેન્સિંગમા ખેડૂતે વીજ પ્રવાહ ચાલુ કરી દેતા છ ગાય માતાના મોત

જામનગર નજીક ચેલા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના શેઢા પરથી અડધો ડઝનથી વધુ ગાયોના મૃતદેહ મળી આવતાં ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. વાડીના સંચાલકે કાંટાળી તરમાં વિજ પ્રવાહ ચાલુ કરી દીધો હોવાથી તમામ ગાયના વીજ શોકથી મૃત્યુ નીપજયા હોવાનું અનુમાન કરાયું છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે, અને તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

જામનગર નજીક ચેલા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના સેઢા પર એકી સાથે 6 જેટલી ગાયો મૃત હાલતમાં જોવા મળી હતી, ઉપરાંત નજીકમાં અન્ય ગાયોના હાડપિંજર જેવા અવશેષો પણ દેખાયા હતા, તેથી અનેક ગૌ પ્રેમીઓમાં કચવાટ જોવા મળ્યો હતો, અને સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતા.

કેટલાક ગૌપ્રેમીઓએ તાબડતોબ વિડીયો બનાવી લઇ ચેલા ગામના ઉપસરપંચ કિરણસિંહ સોલંકી ને જાણ કરતાં તેમણે સમગ્ર મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. આથી પંચકોષી બી. ડિવિઝનના પી.આઇ. વી. એન. રાઠોડ અને તેઓની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સ્થળ પર જઈન નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત વાડીના સંચાલક રવી સતવારા ને પોલીસ મથકે લઈ જઈ વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન વાડી માલિકે પોતાની વાડીમાં કપાસનું વાવેતર કર્યું હોવાથી તે પાકના રક્ષણના ભાગરૂૂપે કાંટાળી તારમાં પશુઓથી બચવા માટે ઝટકા મશીન મારફતે વીજ પ્રવાહ ચાલુ રાખ્યો હતો. જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે નજીક આવેલા પીજીવીસીએલના વીજ થાંભલા માંથી ડાયરેક્ટ વિજ જોડાણ મેળવીને વિજ પ્રવાહ ચાલુ કર્યો હોવાથી એકીસાથે આટલી બધી ગાયોના મૃત્યુ થયા હોવાનું અનુમાન થઈ રહ્યું છે. સમગ્ર મામલામાં પોલીસની ટિમ તપાસ ચલાવી રહી છે. આ બનાવને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Exit mobile version