અગાઉની મંત્રણા નિષ્ફળ ગયેલી હોવાથી બન્ને પક્ષો પર આ વખતે દબાણ
મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે શાંતિની આશાનું એક કિરણ દેખાયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર ડીલ અંગેની આગામી મંત્રણા પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. સોમવારથી શરૂૂ થનારી આ બીજી વાતચીત સીઝફાયર પૂરો થાય તે પહેલાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવા માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. ભારતની અનિચ્છાએ પાકિસ્તાન તબક્કાવાર શાંતિનું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. જયારે કે તે ખુદ દુનિયાના આતંકવાદીઓની રાજધાની છે.
રિપોર્ટ્સ મુજબ, બંને દેશો વચ્ચે પડદા પાછળની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જ સંકેત આપ્યા હતા કે વાતચીત જલ્દી શરૂૂ થશે. સીએનએનના અહેવાલ મુજબ, ઈરાની સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સોમવારે ઇસ્લામાબાદમાં આગામી રાઉન્ડની વાતચીત નક્કી છે. અગાઉના અઠવાડિયે થયેલી મંત્રણામાં કોઈ નક્કર પરિણામ આવ્યું નહોતું, તેથી આ વખતે બંને પક્ષો પર દબાણ વધુ છે. હોર્મુઝની ખાડીના ઉઘાડ પછી યુધ્ધનું વાતાવરણ તબક્કાવાર ઠંડુ પડવા લાગતા અમેરિકા-ઇરાન વચ્ચે આ વખતે પરમાણું-ડિલ ફાઇનલ થવાની શકયતા છે.
આ મંત્રણામાં સૌથી મોટો મુદ્દો ’હોર્મુઝ સ્ટ્રેટ’ છે, જ્યાંથી દુનિયાનો 20 ટકા તેલ પુરવઠો પસાર થાય છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની દરિયાઈ નાકાબંધી નહીં હટાવે, તો આ માર્ગ ફરીથી બંધ કરી શકાય છે. જો આવું થશે તો વિશ્વમાં તેલની કિંમતો ફરી આસમાને પહોંચી શકે છે. જો કે ઇરાને હોર્મુઝ ખાડી ખુલ્લી મુકતા એ વિવાદનો હાલ પુરતો અંત આવ્યો છે.
ટ્રમ્પનો દાવો છે કે ઈરાન નમતું જોખવા તૈયાર છે અને તેઓ સમજૂતીની ખૂબ નજીક છે. જોકે, ઈરાનના ટોચના અધિકારીઓ આ દાવાને નકારી રહ્યા છે. તેમના મતે હજુ પણ ઘણા ગંભીર મુદ્દાઓ પર મતભેદ યથાવત છે. આ ઉપરાંત, લેબનાનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનું સીઝફાયર પણ આ મંત્રણાને અસર કરશે, કારણ કે ઈરાન હિઝબુલ્લાહનું સમર્થક છે.

