Site icon Gujarat Mirror

દાદીએ પસંદગીની રસોઇ ન બનાવતા સગીરા રિસાઇને ઘરેથી નીકળી ગઇ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરપ્રાતિય સગીરા દાદીએ પસંદગીની રસોઇ બનાવી ન હોવાથી રીસાઇને ઘરેથી નિકળી બસમાં બેસી રાજકોટ પહોંચી ગઇ હતી. બાદમાં રેલવે સ્ટેશન પાસે બેસી રડતી હોવાથી જાગૃત નાગરિકે 181માં કોલ કરતા અભયમ ટીમે વ્હારે આવી સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 15 વર્ષીય કિશોરી અસ્વસ્થ હાલતમાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને સંપર્ક સાધ્યો હતો. ત્યારે ઘટના સ્થળ પર અભયમ ટીમના કાઉન્સિલર માધવીબેન સરવૈયા, કોન્સ્ટેબલ ધારાબેન વાળા, ડ્રાઈવર વિજયભાઈ પહોંચી ગયા હતા.

કિશોરીનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, કિશોરી ઘરેથી રિસાઈને સવારથી સાંજ સુધી રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે બેસીને રડતી હતી. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે, રાજકોટના ગ્રામીણ વિસ્તારમાં તેમના મોટા બા અને ભાઈ સાથે રહે છે, બાએ કિશોરીની પસંદની રસોઈ ન બનાવતા કિશોરી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી બસમાં બેસી રાજકોટ આવી ગઈ હતી. 181 અભયમ ટીમે કિશોરીના માતા પિતાની વિગતો અંગે પૂછવા પ્રત્યન કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેણીના માતા પિતા અન્ય રાજ્યમાં રહે છે.

અભયમ ટીમે તેણીના માતા પિતાનો સંપર્ક સાધ્યો અને સઘળી વિગતો જણાવી હતી. ત્યાર બાદ કિશોરીના બાને પણ સંપર્ક કર્યો તથા તેમના ઘરે સુરક્ષિત પહોંચાડી હતી. કિશોરીએ ક્યારેય ઘર ન છોડવાનું અભયમ ટીમને વચન આપ્યું હતું. આમ, 181 અભયમ ટીમે ઘરેથી રિસાયેલી કિશોરીને પોતાના પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું.

Exit mobile version